Tuesday, May 20, 2025
More

    ‘મારો ભાઈ મુજાહિદ્દીન છે’- પહલગામ હુમલાના આતંકવાદીની બહેને કરી કબૂલાત: ઇસ્લામી કટ્ટરવાદીના કાશ્મીર સ્થિત ઘરને કરાયું છે જમીનદોસ્ત

    22 એપ્રિલના રોજ થયેલા પહલગામ હુમલામાં (Pahalgam Attack) સંડોવાયેલા એક ઈસ્લામિક આતંકવાદી આદિલ હુસૈન થોકરની (Adil Hussain Thokar) બહેને તેના ભાઈને ‘મુજાહિદ્દીન’ (Mujahideen) તરીકે ઓળખાવ્યો છે. ઉપરાંત તેણે અધિકારીઓ પર આરોપ લગાવ્યો છે કે સર્ચ ઓપરેશન દરમિયાન વિસ્ફોટને બહાને ત્રાલમાં તેમનું ઘર તોડી પાડવામાં આવ્યા બાદ નિર્દોષ પરિવારના સભ્યોને સજા આપવામાં આવી રહી છે.

    તોડી પાડવામાં આવેલા આતંકીના ઘરના ખંડેર પાસે પત્રકારો સાથે વાત કરતા, તેણે કહ્યું, “મારો એક ભાઈ જેલમાં છે, બીજો ભાઈ મુજાહિદ્દીન છે, અને મારી બે બહેનો પણ છે. ગઈકાલે, જ્યારે હું મારા સાસરિયાના ઘરેથી અહીં આવી ત્યારે મેં મારા માતા-પિતા અને ભાઈ-બહેનોને ઘરે ન જોયા. પોલીસ તેમને લઈ ગઈ હતી. જ્યારે હું અહીં હતી, ત્યારે સુરક્ષા દળો આવ્યા અને મને પાડોશીના ઘરે જવા કહ્યું. મેં આર્મીના ગણવેશ પહેરેલા એક માણસને ઘરમાં બોમ્બ જેવી વસ્તુ મૂકતા જોયો. તે પછી, ઘર બ્લાસ્ટ થયું હતું.”

    નોંધનીય છે કે મુજાહિદ્દીનનો અર્થ થાય ‘જેહાદ કરવાવાળા’ અથવા ‘ઇસ્લામ માટે લડવાવાળા’. આ શબ્દનો ઉપયોગ તેવા લોકો માટે કરવામાં આવે છે જે લોકો જેહાદમાં લાગેલા હોય અથવા ઇસ્લામ માટે ‘સંઘર્ષ’ કરતા હાય.

    આ મહિલા આદિલ હુસૈન થોકરની બહેન છે, જેને આદિલ ગુરી તરીકે પણ ઓળખવામાં આવે છે, જે અનંતનાગ જિલ્લાનો સ્થાનિક આતંકવાદી છે. તેને અધિકારીઓએ પહલગામ આતંકી હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંના એક તરીકે ઓળખાવ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે થોકર લશ્કર-એ-તૈયબા (LeT) સાથે સંકળાયેલો હતો અને તેણે પાકિસ્તાની આતંકીઓ સાથે મળીને હત્યાકાંડની યોજના બનાવવામાં મદદ કરી હતી.

    ગુરુવારે રાત્રે ત્રાલમાં આ આતંકીના પરિવારનું ઘર બ્લાસ્ટ થયું હતું. બીજું એક ઘર બીજા સ્થાનિક વ્યક્તિનું હતું જેના પર આતંકવાદી સંબંધો હોવાની શંકા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, લશ્કર-એ-તૈયબાના આતંકી આદિલ હુસૈન થોકર અને આસિફ શેખ માટે સર્ચ ઓપરેશન દરમિયાન વિસ્ફોટ થયો હતો. અધિકારીઓનો દાવો છે કે ઘરોમાં વિસ્ફોટકો હતા, જે સુરક્ષા કર્મચારીઓએ શોધખોળ કરતા વિસ્ફોટ થયા.