ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિએ વક્ફ (સંશોધન) અધિનિયમ, 2025ની (Waqf Amendment Act 2025) વિરુદ્ધ એક મહિનાના રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. મુસ્લિમ સમુદાયના લોકો આ બિલને ‘ભેદભાવપૂર્ણ’ અને મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ગણાવે છે.
22 એપ્રિલ, 2025થી અમદાવાદમાં શરૂ થનારા આ શાંતિપૂર્ણ વિરોધમાં નહેરુ બ્રિજ નજીક મૌન માનવ સાંકળ, મુખ્ય શહેરોમાં ધરણાં, 30 મિનિટ માટે લાઇટ બંધ કરવી, 50 શહેરોમાં પત્રકાર પરિષદો અને ‘જેલ ભરો આંદોલન’નો સમાવેશ થાય છે. સમિતિનો આરોપ છે કે ગુજરાત સરકાર અન્ય રાજ્યોની સરખામણીએ વિરોધની પરવાનગી નાકારીને તેમના અધિકારોનું દમન કરી રહી છે.
સમિતિનું કહેવું છે કે સત્તાધારી પક્ષ દ્વારા પસાર કરાયેલા વક્ફ અધિનિયમના સંશોધનો મુસ્લિમ સમુદાયના બંધારણીય અધિકારોનું હનન કરે છે અને મસ્જિદો, દરગાહો તથા કબ્રસ્તાનો સહિત વક્ફ સંપત્તિઓ પર કબજો કરવાનો હેતુ ધરાવે છે.
તેમનું કહેવું છે કે આ ફેરફારો ભારતીય બંધારણના અનુચ્છેદ 14, 25, 26, 29 અને 300Aનું ઉલ્લંઘન કરે છે, જે સમાનતા, ધાર્મિક સ્વતંત્રતા, લઘુમતી અધિકારો અને મિલકત માલિકીનું રક્ષણ કરે છે. અમદાવાદ જમાત-એ-ઇસ્લામી હિંદના ઇકબાલ મિર્ઝાએ જણાવ્યું હતું કે તેઓ આ પ્રદર્શનો માટે પરવાનગી માંગશે પરંતુ જો પરવાનગી નહીં મળે તો ગુજરાત હાઇકોર્ટ સુધી જશે.