સુપ્રીમ કોર્ટે (Supreme Court) પશ્ચિમ બંગાળમાં (West Bengal) રાષ્ટ્રપતિ શાસન (President Rule) લાદવાની માગણી કરતી અરજી પર સુનાવણી માટે સંમતિ દર્શાવી છે. આ અરજી મુર્શિદાબાદમાં થયેલી હિંદુ વિરોધી હિંસાના સંદર્ભમાં દાખલ કરવામાં આવી છે, જેમાં હિંદુઓ પર હુમલાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સુનાવણી 22 એપ્રિલ, 2025ના રોજ થવાની છે.
અરજીમાં કેન્દ્રીય દળોની તૈનાતી અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે રાષ્ટ્રપતિ શાસનની માગણી કરવામાં આવી છે. અરજદારો દેવદત્ત માજી અને મણિ મુંજાલે 2022થી એપ્રિલ 2025 સુધીની હિંસાની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે, જેમાં રામ નવમી, હોળી અને સંદેશખાલીમાં થયેલી હિંસાનો સમાવેશ થાય છે.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ભૂષણ આર. ગવઈ અને જસ્ટિસ એ.જી. મસીહની બેન્ચે અરજીની આ પહેલાંની સુનાવણી દરમિયાન ટિપ્પણી કરી હતી કે, “અમે પહેલેથી જ કાર્યપાલિકાના ક્ષેત્રમાં અતિક્રમણના આરોપોનો સામનો કરી રહ્યા છીએ. શું તમે ઇચ્છો છો કે અમે રાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે પરમાદેશ જારી કરીએ?”
આ અરજીનો વિરોધ કરતાં પશ્ચિમ બંગાળ સરકારે આરોપોને ‘અવિચારી’ ગણાવ્યા છે અને કહ્યું છે કે આ રાજ્યમાં સાંપ્રદાયિક તણાવ ભડકાવવાનો પ્રયાસ છે. આ કેસમાં વકીલ વિષ્ણુ શંકર જૈને અરજીનો ઉલ્લેખ કર્યો હતો અને 2021ની ચૂંટણી પછીની હિંસાને લગતી અન્ય અરજીઓ સાથે આ મામલાની સુનાવણીની માંગણી કરી હતી જેના પર કોર્ટે સંમતિ દર્શાવી હતી.