Wednesday, May 21, 2025
More

    ‘દેશ માટે ગૌરવની ક્ષણ’: ઑપરેશન સિંદૂર બાદ PM મોદીએ કેબિનેટ બેઠકમાં આપી પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- આપણી સેના પર ગર્વ

    પહલગામ આતંકી હુમલાના (Pahalgam Terror Attack) પ્રતિશોધમાં ભારતે ‘ઑપરેશન સિંદૂર’ (Operation Sindoor) લૉન્ચ કરીને પાકિસ્તાનની (Pakistan) ભીતરના આતંકી અડ્ડાઓ તબાહ કરી નાખ્યા છે. ઑપરેશન પાર પડ્યા બાદ દેશમાં સતત બેઠકોનો દોર ચાલુ છે. બુધવારે (7 મે) ઉચ્ચસ્તરીય કેબિનેટ બેઠકની શરૂઆતમાં મંત્રીઓએ PM મોદીને (PM Narendra Modi) ઑપરેશન સિંદૂરની સફળતા માટે અભિનંદન આપ્યા હતા. જે બાદ વડાપ્રધાન મોદીની પ્રથમ પ્રતિક્રિયા પણ સામે આવી છે.

    સૂત્રોને ટાંકીને મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન મોદીએ કેબિનેટને સમગ્ર ઑપરેશન વિશેની માહિતી આપી હતી અને કહ્યું હતું કે, આ આખા દેશ માટે ગૌરવની ક્ષણ છે. બેઠકમાં ઉપસ્થિત અન્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, વડાપ્રધાને બેઠકમાં કહ્યું હતું કે, “આ આપણાં સૌ માટે ગૌરવની ક્ષણ છે.” બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ સુરક્ષાદળોની પણ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, સેનાએ વિસ્તૃત તૈયારીઓનું સખ્તીથી પાલન કર્યું છે.

    બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “આખો દેશ આપણી તરફ જોઈ રહ્યો હતો. આપણને આપણી સેના પર ગર્વ છે.” આ ઉપરાંત મંત્રીઓએ કહ્યું હતું કે, આખો દેશ આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં વડાપ્રધાન મોદી અને ભારતીય સેના સાથે મજબૂતીથી ઊભો છે.

    ઑપરેશન સફળ થયાના કેટલાક સમય બાદ વડાપ્રધાન મોદીએ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ અને ગૃહમંત્રી અમિત શાહ સાથે ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી. સુરક્ષા અધિકારીઓ અનુસાર, ઑપરેશન સિંદૂર હેઠળ સૌથી મહત્વપૂર્ણ કાર્યવાહી બહાવલપુર અને મુરીદકેમાં કરવામાં આવી છે. જ્યાં દરેક ઠેકાણાં પર 25-30 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.