Friday, May 23, 2025
More

    મોદી સરકારે NSA બોર્ડમાં કર્યો બદલાવ, પૂર્વ RAW ચીફ અલોક જોશી હશે નવા ચેરમેન: પહલગામ હુમલાને લઈને સતત ચાલી રહી છે બેઠકો

    પહલગામ હુમલા બાદ મોદી સરકાર સતત નવા-નવા નિર્ણયો લઈ રહી છે. તેવામાં હવે મોદી સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં (NSAB) પણ વ્યાપક બદલાવ કર્યા છે. મહત્વપૂર્ણ પગલાં તરીકે પૂર્વ રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના (RAW) ચીફ અલોક જોશીને બોર્ડના નવા અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિયુક્તિ ભારતની રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરવામાં એક નિર્ણાયક પગલું ગણવામાં આવી રહી છે.

    તે સાથે NSA બોર્ડ હવે સાત સભ્યોનું હશે, જેમાં વિભિન્ન ક્ષેત્રોના તજજ્ઞોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બોર્ડમાં ત્રણ સૈન્ય બેકગ્રાઉન્ડ ધરાવતા સેવાનિવૃત્ત અધિકારીઓ, બે IPSના સેવાનિવૃત્ત અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે. બોર્ડમાં હવે અલોક જોશી ચેરમેન હશે. તે સિવાય પૂર્વ વેસ્ટર્ન એર કમાન્ડર એર માર્શલ પીએમ સિન્હા, પૂર્વ સાઉથર્ન સેના કમાન્ડર લેફટીનેન્ટ જનરલ એકે સિંઘ અને એડમિરલ મોન્ટી ખાનનાનો સમાવેશ થાય છે.

    આ ઉપરાંત રાજીવ વર્મા અને મનમોહન સિંઘ ઇન્ડિયન પોલીસ સર્વિસમાંથી (IPS) આવ્યા છે. તે સિવાય સેવાનિવૃત્ત IFSઅધિકારી વેંકટેશ વર્માનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, NSABના નવા ચેરમેન અલોક જોશી 2012થી 2014 દરમિયાન RAW ચીફ તરીકે કાર્યરત હતા અને 2015થી 2018 સુધી NTROના ચેરમેન પણ રહ્યા હતા.