પહલગામના આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન વિરુદ્ધ અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લઈ રહ્યું છે. મોદી સરકારે ઐતિહાસિક નિર્ણયોમાં હવે વધુ એક નિર્ણયને જોડી દીધો છે. જાણવા મળી રહ્યું છે કે, મોદી સરકારે પાકિસ્તાની ધ્વજ સાથેનાં જહાજોને ભારતીય જળસીમામાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેથી હવે પાકિસ્તાન ભારતીય જળસીમાનો ઉપયોગ કરી શકશે નહીં.
પાકિસ્તાની ધ્વજવાળા કોઈપણ જહાજને બંદરો પર પણ પ્રવેશ આપવામાં આવશે નહીં. બંદરો, શિપિંગ અને જલમાર્ગ મંત્રાલયના નિર્દેશ અનુસાર, પાકિસ્તાની ધ્વજવાળા જહાજોને ભારતીય બંદરોમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે ભારતીય ધ્વજવાળા જહાજો પણ હવે પાકિસ્તાની બંદરો પર રોકાશે નહીં.
રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપીને સરકારે આ આદેશ લાગુ કર્યો છે. નિર્દેશ તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયો છે અને આગલા આદેશ સુધી લાગુ રહેશે. પાકિસ્તાની બંદરો અને જળસીમાની સુરક્ષાને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.