Tuesday, April 8, 2025
More

    પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ-151K અને પારડી-વલસાડના ઘોરીમાર્ગ 848ને કરાશે વિકસિત: મોદી સરકારે જાહેર કર્યું કરોડોનું ભંડોળ

    કેન્દ્રની મોદી સરકારે ગુજરાતને વધુ એક ભેટ આપી છે. પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતના કેટલાક રાષ્ટ્રીય ધોરીમાર્ગને વિકસાવવા માટે કરોડોના ભંડોળની જાહેરાત કરી છે. જેનો સીધો લાભ પણ ગુજરાતની જનતાને મળશે. વિકસિત કરવામાં આવનારા ધોરીમાર્ગોમાં એક પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલો છે અને બીજો પારડી-વલસાડ જિલ્લામાં આવેલો છે.

    નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું છે કે, ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-848ના પારડી (રાજસહિય ધોરીમાર્ગ-4) જંકશન-સુકેશ-નાણાં પોંઢા-કપરાડાથી 37.08 કિમી લંબાઈના ભાગને પેવ્ડ શોલ્ડરવાળા વિભાજિત કેરેજવે સાથે 4-લેનમાં અપગ્રેડ કરવા માટે ₹825.72 કરોડનું ભંડોળ સ્વીકારવામાં આવ્યું છે.

    હાલનો પ્રોજેક્ટ પારડીથી કપરાડા સુધીના બાકીના પટને પેવ્ડ શોલ્ડરવાળા 4-લેનનો બનાવવાનો છે. આ વિભાગને પહોળો કરવાથી ભારે ભીડભાડવાળા વિસ્તારમાં ટ્રાફિક ઓછો થશે અને વધુ સારી કનેક્ટિવિટી મળશે.

    દ્વારકા-જામનગરને પણ ભેટ

    વધુમાં નીતિન ગડકરીએ પોરબંદર-જામનગર અને દેવભૂમિ દ્વારકામાં પણ રાષ્ટ્રીય ધોરીમાર્ગને વિકસાવવાની વાત કરી છે. તેમણે કહ્યું છે કે, ગુજરાતના પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-151Kના સમગ્ર 119.50 કિમી લાંબા પોરબંદર -ભાણવડ- જામ જોધપુર-કાલાવડ સેકશનને ₹1271.02 કરોડના ખર્ચે બે લેન પેવ્ડ શોલ્ડરમાં અપગ્રેડ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

    ગ્રેડ-સેપરેટેડ સ્ટ્રક્ચર્સ, 8 મુખ્ય પુલ અને 10 બાયપાસ સાથે આ હાઇવેનું અપગ્રેડેશન ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશને વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે.