પહલગામ હુમલા બાદ ભારત સરકાર સતત કાર્યવાહી કરી રહી છે. પાકિસ્તાનને બધી બાજુથી ઘેર્યા બાદ હવે કોઈ મોટી કાર્યવાહી થઈ રહી હોવાનું કહેવાય રહ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને 7 મેના રોજ મૉકડ્રિલ કરવા માટેના આદેશ જારી કર્યા છે. સરકારી સૂત્રોને ટાંકીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, નાગરિક સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે મૉકડ્રિલ કરવામાં આવશે.
છેલ્લી વખત આવો અભ્યાસ 1971માં કરવામાં આવ્યો હતો. તે સમયે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા રાજ્યોને મોકલવામાં આવેલા નિર્દેશોમાં ઘણી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ અને નાગરિકોને સુરક્ષા તાલીમ આપવામાં આવવાની વાત પણ કરવામાં આવી છે.
તે સિવાય હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરનનું સંચાલત, શત્રુતાપૂર્ણ હુમલામાં સ્વબચાવ માટે નાગરિક સુરક્ષા પાસાઓ પર નાગરિકો, વિદ્યાર્થીઓ વગેરેને ટ્રેનિંગ આપવી. હુમલાની સ્થિતિમાં બચવાના ઉપાયો વિશેની જાગૃતિ. મહત્વપૂર્ણ સંયંત્રો/પ્રતિષ્ઠાનોને યુદ્ધ સમયમાં હુમલાથી બચાવવા અને સંરક્ષિત કરવાના પ્રયાસો અને લોકોને બચાવવાની યોજના અને તેનો અભ્યાસ જેવા નિર્દેશો આપવામાં આવ્યા છે.