Thursday, May 15, 2025
More

    આતંકવાદીઓના જનાજામાં પાક. સેના અને ISIના અધિકારીઓ: વિદેશ સચિવે પ્રેસ બ્રીફિંગ દરમિયાન ફોટોગ્રાફ બતાવીને પાકિસ્તાનના દાવાની પોલ ખોલી

    ઑપરેશન સિંદૂર અને ભરત-પાકિસ્તાન વચ્ચે ચાલતા સરહદીય તણાવ વચ્ચે કેન્દ્રીય વિદેશ મંત્રાલયે ગુરુવારે (8 મે) એક પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી, જેમાં વિદેશ સચિવ વિક્રમ મિસરી, ભારતીય સેનાનાં કર્નલ સોફિયા કુરેશી અને વાયુસેનાનાં વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘ સામેલ રહ્યાં. 

    પ્રેસ બ્રીફિંગ દરમિયાન વિદેશ સચિવે સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાને પહલગામમાં આતંકવાદી હુમલો કરીને ઉશ્કેરણીજનક કૃત્ય કર્યું હતું અને ભારત હવે માત્ર જવાબ આપી રહ્યું છે. એ પણ સ્પષ્ટ કર્યું કે ભારત તણાવ વધારવા માંગતું નથી, પરંતુ પાકિસ્તાને કોઈ અવળચંડાઈ કરી તો તેટલી જ તીવ્રતાથી જવાબ આપવામાં આવશે. 

    વિદેશ સચિવે પ્રશ્ન ઉઠાવતાં કહ્યું કે, પાકિસ્તાનમાં જો નાગરિકો જ મૃત્યુ પામ્યા હોય તો તેમના અંતિમ સંસ્કાર પાકિસ્તાનના રાષ્ટ્રીય ધ્વજમાં મૃતદેહ લપેટીને શા માટે કરવામાં આવી રહ્યા છે અને રાજકીય સન્માન કેમ આપવામાં આવી રહ્યું છે. તેમણે ફોટોગ્રાફ બતાવીને એ પણ દેખાડ્યું કે કઈ રીતે પાકિસ્તાની સેના અને ISIના અધિકારીઓ આતંકવાદીઓના જનાજામાં સામેલ થયા હતા. જેનાથી પાકિસ્તાન સેના અને આતંકવાદીઓ વચ્ચેની સાંઠગાંઠ સ્પષ્ટ થઈ ગઈ. 

    પ્રેસ બ્રીફિંગમાં જણાવવામાં આવ્યું કે પાકિસ્તાને ગત રાત્રે જમ્મુ-કાશ્મીરના પૂંછમાં એક ગુરુદ્વારા પર હુમલો કરીને શીખ સમુદાયને નિશાન બનાવ્યો હતો, જેમાં ત્રણ વ્યક્તિઓ માર્યા ગયા છે. LoC પર કરવામાં આવેલા ગોળીબારમાં 16 નાગરિકો માર્યા ગયા અને અન્ય અમુક ઈજાગ્રસ્ત થયા છે.