Friday, February 7, 2025
More

    ‘સંભલ, મથુરા, વિશ્વનાથ… તીનો લેંગે એકસાથ’: મહાકુંભમાં યોજાયેલી ધર્મ સંસદમાં ‘સનાતન બોર્ડ’ના ગઠનનો પ્રસ્તાવ, સંતોએ વર્શિપ એક્ટ ખતમ કરવાની કરી માંગણી

    સોમવારે (27 જાન્યુઆરી) મહાકુંભમાં હિંદુ ધર્મના સંતોની ધર્મ સંસદ યોજવામાં આવી હતી. ધર્મ સંસદમાં સનાતન બોર્ડના ગઠનનો પ્રસ્તાવ સર્વસંમતિથી પાસ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સાથે જ વડાપ્રધાનને સનાતન બોર્ડના ગઠન માટેની માંગણી પણ કરવામાં આવી છે. જોકે, 13 અખાડા અને 4 શંકરાચાર્ય આ સંસદમાં સામેલ થયા નહોતા. પરંતુ, એકંદરે હજારોની સંખ્યામાં સન્યાસીઓ તેમાં હાજર રહ્યા હતા.

    ધર્મ સંસદમાં જગદગુરુ વિદ્યા ભાસ્કરે PM મોદીને વર્શિપ એક્ટ ખતમ કરવાની માંગણી કરી છે. તેમણે કહ્યું કે, આ મામલે સરકારને માંગપત્ર પણ મોકલવામાં આવી રહ્યો છે. આ સાથે જ નારો પણ આપવામાં આવ્યો હતો. ‘સંભલ, મથુરા, વિશ્વનાથ.. તીનો લેંગે એકસાથ’ આ નારો ધર્મ સંસદમાં ગુંજી રહ્યો હતો.

    આ સાથે જ અયોધ્યાથી આવેલા વલ્લભદાસ મહારાજે પણ એક નારો આપ્યો છે. તેમણે ‘રામલલા હમ આયેંગે, મંદિર હર જગહ બનાયેંગે’નો નારો આપ્યો હતો. આ સાથે જ ધર્મ સંસદમાં વક્ફ બોર્ડ પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આ સાથે જ વક્ફ સંશોધન બિલનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.