Sunday, March 9, 2025
More

    ‘બળજબરી ધર્માંતરણ કરાવનારાઓને થશે ફાંસી’: મધ્યપ્રદેશ સીએમ મોહન યાદવનું એલાન

    મધ્યપ્રદેશમાં બળજબરીથી ધર્માંતરણ કરાવનારાઓને ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવશે- મુખ્યમંત્રી મોહન યાદવે મહિલા દિવસ પર આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે આ ઘોષણા કરી હતી. 

    તેમણે એક X પોસ્ટ મારફતે પણ આ બાબતની જાણકારી આપી. 

    તેમણે જણાવ્યું કે, “દીકરીઓની રક્ષા અને સ્વાભિમાન માટે મધ્યપ્રદેશ સરકાર સમર્પિત છે. દીકરીઓ સાથે દુરાચાર કરનારાઓને ફાંસીની સજાની જોગવાઈ પહેલેથી જ લાગુ છે. હવે દીકરીઓનું ધર્માંતરણ કરાવનારાઓ વિરુદ્ધ પણ મધ્યપ્રદેશ સરકાર કડક પગલાં લેશે.”

    તેમણે આગળ કહ્યું કે, “મધ્યપ્રદેશમાં બળજબરીથી કે ફોસલાવીને વિવાહ અને ધર્મપરિવર્તન કરાવનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમ લાગુ છે. ધર્માંતરણ, દુરાચરણ જેવી કોઈ પણ ઘટનાને સરકાર સાંખી લેશે નહીં.”

    ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ દેશનાં એવાં રાજ્યો પૈકીનું એક છે, જ્યાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો બનાવવામાં આવ્યો છે. કાયદા હેઠળ ઓળખ છુપાવીને પ્રેમજાળમાં ફસાવવા બદલ સજા થઈ શકે છે. ગુજરાતમાં પણ આવો કાયદો બનાવવામાં આવ્યો છે.