Tuesday, May 20, 2025
More

    યુએન સુરક્ષા પરિષદના સ્થાયી પદ માટે ઈસ્લામિક દેશ કુવૈતે ભારતને આપ્યું સમર્થન: રશિયા, ફ્રાન્સ સહિત ઘણાં દેશો કરી ચૂક્યા છે સપોર્ટ

    ઈસ્લામિક રાષ્ટ્ર કુવૈતે (Kuwait) સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં (UNSC) ભારતના (India) સભ્યપદ માટે પોતાનો ટેકો જાહેર કર્યો છે. યુએનમાં કુવૈતના કાયમી પ્રતિનિધિ અને આંતર-સરકારી સંવાદના (IGN) સહ-અધ્યક્ષ, તારિક અલ્બાનીએ ભારતને “વિશ્વ મંચ પર મુખ્ય ખેલાડી” તરીકે વર્ણવ્યું અને ભાર મૂક્યો કે જો કાઉન્સિલનો વિસ્તાર કરવામાં આવે તો ભારત એક દાવેદાર બનશે.

    ગુરુવારે સુરક્ષા પરિષદ સુધારા પર યુએન જનરલ એસેમ્બલી આંતર-સરકારી વાટાઘાટોની સ્થિતિ પર આયોજિત પ્રેસ બ્રીફિંગને સંબોધતા, તારિક અલ્બાનીએ તેમના સહ-અધ્યક્ષ, એલેક્સ માર્શિક સાથેની ભારત મુલાકાતને યાદ કરી. નોંધનીય છે કે કુવૈત અને ઑસ્ટ્રિયા સુરક્ષા પરિષદ સુધારા પર આંતર-સરકારી વાટાઘાટોની સહ-અધ્યક્ષતા કરે છે.

    યુએનએસસીમાં સુધારા સુનિશ્ચિત કરવા માટે શું કરવાની જરૂર છે તે અંગેના પ્રશ્નના જવાબમાં અલ્બેનીઝે કહ્યું, “ગયા વર્ષે મને મારા આદરણીય સહ-અધ્યક્ષ એક્સેલ માર્ચિક સાથે ભારતની મુલાકાત લેવાનો અને ત્યાં ઉચ્ચ સ્તરે વાટાઘાટો કરવાનો લહાવો મળ્યો હતો. આ સુધારેલી પરિષદનો ઉદ્દેશ્ય પ્રતિનિધિત્વપૂર્ણ હોવો જોઈએ અને સ્પષ્ટપણે, ભારત આજે વિશ્વ મંચ પર એક મુખ્ય ખેલાડી છે.”

    “ચોક્કસપણે જો એવું નક્કી કરવામાં આવે કે કાઉન્સિલ 21થી 27 સભ્યો સુધી વિસ્તરે છે, તો ભારત ચોક્કસપણે તેમાં દાવેદાર હશે અને તે વ્યાપક સભ્યપદ અંગેના નિર્ણયને આધીન રહેશે,” તારિક અલ્બાનીએ જણાવ્યું હતું.

    નોંધનીય છે કે આ પહેલા રશિયા અને ફ્રાન્સ જેવા દેશો પણ UNSCમાં ભારતના સ્થાયી પદ માટે પોતાનો સપોર્ટ જાહેર કરી ચૂક્યા છે.