Sunday, May 18, 2025
More

    ‘પહલગામ હુમલા પર ચર્ચા માટે બોલાવો બંને ગૃહોનું સામૂહિક સત્ર’: કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર

    22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો (Pahalgam Terrorist Attack) થયો જેને લઈને કોંગ્રેસ (Congress) અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) અને રાહુલ ગાંધીએ (Rahul Gandhi) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને હુમલાની ચર્ચા કરવા અને સામૂહિક સંકલ્પ દર્શાવવા માટે સંસદનું ખાસ સત્ર બોલાવવા વિનંતી કરી છે. ઘણા વિપક્ષી સાંસદોએ પણ આ જ માંગ કરી છે.

    પ્રધાનમંત્રીને લખેલા પત્રમાં ખડગેએ જણાવ્યું હતું કે, “આ સમયે, જ્યારે એકતા અનિવાર્ય છે, ત્યારે વિપક્ષ માને છે કે સંસદના બંને ગૃહોનું વિશેષ સત્ર વહેલામાં વહેલી તકે બોલાવવું આવશ્યક છે.

    લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને પહલગામ આતંકવાદી હુમલા પર સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે સંસદના બંને ગૃહોનું સત્ર બોલાવવું જોઈએ, “જ્યાં લોકોના પ્રતિનિધિઓ તેમની એકતા અને દૃઢ નિશ્ચય બતાવી શકે.”

    આ અંગે જયરામ રમેશે જણાવ્યું હતું કે, “કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ગઈકાલે રાત્રે વડા પ્રધાનને પત્ર લખીને વિનંતી કરી હતી કે 22 એપ્રિલે પહલગામમાં થયેલા ક્રૂર આતંકવાદી હુમલાથી ઊભી થયેલી પરિસ્થિતિનો સામનો કરવા માટે સામૂહિક ઇચ્છાશક્તિ દર્શાવવા માટે સંસદના બંને ગૃહોનું ખાસ સત્ર વહેલામાં વહેલી તકે બોલાવવામાં આવે.”