Wednesday, May 14, 2025
More

    મંદિરો બાદ હવે કેનેડામાં ગુરુદ્વારાને ટાર્ગેટ કરવાનું શરૂ, દીવાલો પર લખાયાં ખાલિસ્તાન સમર્થક સૂત્રો

    ઠેરઠેર મંદિરો પર હુમલાઓ કર્યા બાદ હવે કેનેડામાં બેઠેલા ખાલિસ્તાનીઓએ એક ગુરુદ્વારાને નિશાન બનાવ્યું છે. સમાચાર છે કે વેનકુવરના એક ગુરુદ્વારા પર ભારતવિરોધી નારા લખવામાં આવ્યા હતા. 

    ઘટના ખાલસા દિવાન સોસાયટી ગુરુદ્વારાની છે, જે રોજ સ્ટ્રીટ ગુરૂદ્વારાના નામથી પણ ઓળખાય છે. જેતસ્વીરો સામે આવી છે, તેમાં ગુરુદ્વારાની દિવાલો પર ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ ચીતરેલું જોવા મળે છે. 

    હાલ વેનકુવરની પોલીસ મામલાની તપાસ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ગત અઠવાડિયે ગુરૂદ્વારા આયોજિત કરવામાં આવેલા એક કાર્યક્રમમાં ખાલિસ્તાન સમર્થક જૂથોને સામેલ કરવામાં આવ્યાં ન હતાં, જેનાથી ઉશ્કેરાઈ જઈને આ કૃત્ય કર્યું હોવું જોઈએ. 

    ગુરુદ્વારાના સંચાલકોએ આ કૃત્યની ટીકા કરીને કહ્યું છે કે, આ બીજું કશું નહીં પણ ચરમપંથીઓ દ્વારા કેનેડામાં રહેતા શીખ સમુદાયનામાં ડર અને ભેદભાવની ભાવના પેદા કરવાનો એક પ્રયાસમાત્ર છે. આગળ કહ્યું કે, તેઓ ભાગલા પડાવવા અને એકતાને તોડવાના પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેમને ક્યારેય સફળ થવા દેવામાં નહીં આવે. 

    નોંધવું જોઈએ કે આ પહેલાં કેનેડાનાં અનેક મંદિરોને આ રીતે નિશાન બનાવવામાં આવી ચૂક્યાં છે. હવે ગુરુદ્વારાને પણ ટાર્ગેટ કરવાનું શરૂ કરવામાં આવ્યું.