Wednesday, May 14, 2025
More

    પોપ ફ્રાન્સિસના નિધન પર કેરળમાં 3 દિવસનો શોક- CM પિનરાઈ વિજયની જાહેરાત: 26 એપ્રિલ કરશે અંતિમ સંસ્કાર

    કેરળ સરકારે (Kerala Government) પોપ ફ્રાન્સિસના નિધન (Pope Francis Death) પર ત્રણ દિવસના રાજ્ય શોકની જાહેરાત કરી છે. 22 અને 23 એપ્રિલે બે દિવસનો શોક રાખવામાં આવશે, જ્યારે અંતિમ સંસ્કારના દિવસે એક દિવસનો શોક જાહેર કરાશે, જેની તારીખ અલગથી જણાવવામાં આવશે.

    આ દરમિયાન રાષ્ટ્રધ્વજ અડધી ઊંચાઈએ ફરકાવવામાં આવશે અને કોઈ સત્તાવાર મનોરંજન થશે નહીં. કેરળના મુખ્યમંત્રી પિનરાયી વિજયને એક્સ પર પોસ્ટ કરીને પોપ ફ્રાન્સિસને “ગરીબ અને હાંસિયામાં ધકેલાયેલા લોકોની સાથે ઊભા રહેનાર, વૈશ્વિક મૂડીવાદની ટીકા કરનાર અને આંતરધાર્મિક સંવાદના હિમાયતી” તરીકે વર્ણવ્યા હતા.

    તેમણે લખ્યું કે, “તેમનો વારસો ન્યાય અને સમાનતા માટે પ્રયત્નશીલ પેઢીઓને પ્રેરણા આપશે.” આ ઉપરાંત, ભારત સરકારે પણ ગૃહ મંત્રાલએ પણ ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે, જે 22 અને 23 એપ્રિલે તેમજ પોપની અંતિમ વિધિના દિવસે રાખવામાં આવશે.

    આ સિવાય દેશના વડાપ્રધાન PM નરેન્દ્ર મોદીએ પણ X પર દુઃખ વ્યક્ત કરતા લખ્યું કે, , “પોપ ફ્રાન્સિસનો ભારતના લોકો પ્રત્યેનો સ્નેહ હંમેશાં યાદ રહેશે. તેમણે ગરીબો અને પીડિતોની સેવા કરી અને આશાનો સંચાર કર્યો.”

    પોપ ફ્રાન્સિસનું 88 વર્ષની વયે 21 એપ્રિલ, 2025ના રોજ વેટિકનના કાસા સાન્તા માર્ટામાં નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી પથારીવશ હતા અને બીમારીઓનો સામનો કરી રહ્યા હતા.

    તાજી જાણકારી મુજબ વેટિકને માહિતી આપી છે કે સ્વર્ગસ્થ પોપના અંતિમ સંસ્કાર 26 એપ્રિલ, શનિવારના રોજ થશે. અંતિમ સંસ્કાર સવારે 8:00 વાગ્યે (GMT) થશે.