પહલગામ આતંકી હુમલા બાદ હવે ભારતે ‘ઑપરેશન સિંદૂર’ લૉન્ચ કરીને પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓનો સફાયો કર્યો છે. 9 ઠેકાણાં પર હવાઈ હુમલા કરીને તેમને તબાહ કરી નાખવામાં આવ્યા છે. તે વચ્ચે જ હવે બુધવાર (7 મે) સવારે કરતારપુર કોરિડોર પણ બંધ કરી દેવામાં આવ્યો છે. અધિકારીઓએ આ વિશેની માહિતી પણ આપી છે.
પાકિસ્તાનના નારોવાલ જિલ્લામાં ઐતિહાસિક શ્રી દરબાર સાહિબ ગરુદ્વારની તીર્થયાત્રા માટે આવેલા લગભગ 150 ભારતીય શીખ તીર્થયાત્રીઓને બુધવારે સવારે ચેક પોસ્ટ પરથી પરત ફરવાનું કહેવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયના ઈમિગ્રેશન અનાઉસમેન્ટ બ્યૂરોએ આગલા આદેશ સુધી કરતારપુર કોરિડોરને બંધ કરવાના આદેશ આપ્યા છે.
યાત્રિકોએ આ ઘટનાને લઈને કહ્યું છે કે, “ઈમિગ્રેશન અધિકારીઓએ અમને જણાવ્યું છે કે, સ્થિતિ અનુકૂળ નથી અને 11 વાગ્યાની આસપાસ પરત ફરવાનું કહેવામાં આવ્યું છે. દુર્ભાગ્યપૂર્ણ છે કે અમે ત્યાં ન પહોંચી શક્યા. પરંતુ રાષ્ટ્રીય હિત સૌથી ઉપર છે.”