Wednesday, May 21, 2025
More

    ‘મોદી અને શાહ મને સ્યુસાઇડ બૉમ્બ આપે, હું પાકિસ્તાન પર હુમલો કરીશ’: કર્ણાટકના મંત્રી ઝમીર અહેમદનું નિવેદન વાયરલ

    પહલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે કર્ણાટકની કોંગ્રેસ સરકારના મંત્રી ઝમીર અહેમદ ખાને એક એવું નિવેદન આપ્યું છે, જેની ચર્ચા મીડિયા અને સોશિયલ મીડિયામાં શરૂ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, તેઓ સ્યુસાઇડ બૉમ્બ બાંધીને પાકિસ્તાન જવા માટે તૈયાર છે. 

    શુક્રવારે (2 મે) એક પ્રેસ કૉન્ફરન્સમાં તેમને કહ્યું કે, પાકિસ્તાન હંમેશા ભારતનું દુશ્મન રહ્યું છે અને જો પીએમ મોદી અને ગૃહમંત્રી શાહ તેમને પરવાનગી આપે તો યુદ્ધમાં જવા પણ પોતે તૈયાર છે. 

    તેમણે કહ્યું, “આપણે ભારતીયો છીએ. આપણે હિંદુસ્તાનીઓ છીએ. પાકિસ્તાનના આપણી સાથે ક્યારેય કોઈ સંબંધ રહ્યા નથી. તે હંમેશા આપણું શત્રુ રહ્યું છે…જો મોદી, અમિત શાહ અને કેન્દ્ર સરકાર મને પરવાનગી આપે તો હું યુદ્ધ માટે પાકિસ્તાન જવા માટે તૈયાર છું.”

    તેમણે એમ પણ કહ્યું કે, તેમને એક સ્યુસાઇડ બૉમ્બ આપવામાં આવે, જેનાથી તેઓ પાકિસ્તાન પર હુમલો કરશે. પ્રેસ કૉન્ફરન્સમાં તેમણે કહ્યું, “હું યુદ્ધ માટે પાકિસ્તાન જઈશ. મોદી અને શાહ મને સ્યુસાઇડ બૉમ્બ આપે. હું શરીર પર બાંધીને પાકિસ્તાન જઈશ અને તેમની ઉપર હુમલો કરીશ.”