Thursday, May 22, 2025
More

    5 વર્ષ બાદ ફરી શરૂ થવા જઈ રહી છે કૈલાશ માનસરોવર યાત્રા: જૂનથી ઑગસ્ટ સુધી થશે આયોજન, ભારત-ચીન વિવાદ બાદ બંધ થયા હતા દર્શન

    5 વર્ષ બાદ હવે ફરી કૈલાશ માનસરોવર યાત્રા શરૂ થવા જઈ રહી છે. જાણવા મળી રહ્યું છે કે, 30 જૂનના રોજથી યાત્રાની શરૂઆત થશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, ઑગસ્ટ સુધી આ યાત્રા શરૂ રાખવામાં આવશે. તેના માટે અરજી કરવા માટેની વેબસાઇટ પણ ખોલી નાખવામાં આવી છે. તિબેટ સ્થિત કૈલાશ પર્વત અને માનસરોવરના દર્શનને હિંદુ ધર્મમાં ખૂબ પવિત્ર માનવામાં આવે છે.

    વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, 50 તીર્થયાત્રીઓ સાથેના 5 જથ્થા ઉત્તરાખંડથી લિપુલેખ પાર કરીને યાત્રા કરશે, જ્યારે 50 તીર્થયાત્રીઓ સાથેના 10 જથ્થા સિક્કિમથી નાથુ લા થઈને જશે. ઇચ્છુક તીર્થયાત્રીઓ યાત્રા માટે ઓનલાઈન અરજી કરી શકે છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, આવેદન સ્વીકાર કરવા માટે https://kmy.gov.in વેબસાઇટ ખોલવામાં આવી છે. આવેદકોમાંથી યાત્રિકોની પસંદગી નિષ્પક્ષ, કમ્પ્યુટર દ્વારા તૈયાર અને લિંગ-સંતુલિત પસંદગી પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે.

    વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, ઓનલાઈન અરજીથી લઈને મુસાફરોની પસંદગી સુધીની સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઈઝ્ડ છે. તેથી, અરજદારોએ માહિતી મેળવવા માટે પત્રો કે ફેક્સ મોકલવાની જરૂર નથી. વેબસાઇટ પરના પ્રતિસાદ વિકલ્પોનો ઉપયોગ માહિતી મેળવવા, ટિપ્પણીઓ નોંધાવવા અથવા સુધારણા માટે સૂચનો આપવા માટે કરી શકાય છે.