Wednesday, May 14, 2025
More

    જસ્ટિસ યશવંત વર્માનો રાજીનામું આપવાનો ઇનકાર, CJIએ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને મોકલ્યો ઈનહાઉસ કમિટીનો રિપોર્ટ

    દિલ્હી હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ અને હાલ અલહાબાદ હાઇકોર્ટ ટ્રાન્સફર થયેલા જજ યશવંત વર્માએ રાજીનામું આપવાનો ઇનકાર કરી દીધો છે. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના નિર્મિત એક ઈનહાઉસ પેનલે યશવંત વર્માના ઘરેથી મળી આવેલી રોકડ રકમ મામલે તપાસ કરીને રિપોર્ટ સોંપ્યો હતો, જેમાં આરોપોને સાચા ઠેરવીને જજને રાજીનામું આપવા માટે સૂચના આપવાની અને તેમ ન કરે તો મહાભિયોગ માટે કાર્યવાહી શરૂ કરવાની ભલામણ કરવામાં આવી હતી. 

    રિપોર્ટ મુખ્ય ન્યાયાધીશને સોંપી દેવામાં આવ્યા બાદ આ જાણકારી સામે આવી. તાજા જાણકારી અનુસાર, જજ યશવંત વર્માએ રાજીનામું આપવાનો ઇનકાર કરી દીધો છે. ત્યારબાદ CJI ખન્નાએ ઈનહાઉસ કમિટીનો રિપોર્ટ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને મોકલી આપ્યો છે. હવે બોલ સરકારની કોર્ટમાં છે. 

    જો કોઈ ન્યાયાધીશ તેમની વિરુદ્ધની તપાસમાં આરોપો સાચા નીકળે પછી પણ રાજીનામું આપવાનો ઇનકાર કરે તો નિયમાનુસાર CJI મામલાને રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને મોકલી આપે છે. ત્યારબાદ સંસદ ઇચ્છે તો જજ વિરુદ્ધ મહાભિયોગની કાર્યવાહી શરૂ કરી શકે. 

    ન્યાયાધીશે રાજીનામું આપવાની ના પાડી હોવાથી હવે જે કંઈ કરવાનું રહે તે સરકારે જ કરવાનું રહે છે.