સુપ્રીમ કોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ભૂષણ. આર ગવઈ (Justice BR Gavai) હોય શકે છે. તેમના નામની દરખાસ્ત વર્તમાન ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાએ (CJI Sanjeev Khanna) કેન્દ્ર સરકારને મોકલી આપી છે. તેઓ 13 મેના રોજ નિવૃત્ત થાય છે. પરંપરા મુજબ સેવાનિવૃત્ત થતા CJI સૌથી વરિષ્ઠ ન્યાયાધીશની તેમના અનુગામી તરીકે ભલામણ કરે છે.
જો જસ્ટિસ ગવઈની નિમણૂક થશે તો તેઓ ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ બનશે. તેઓ 14 મેના રોજ CJI તરીકે શપથ લે તેવી શક્યતા છે. જોકે, જસ્ટિસ ગવઈ નવેમ્બર 2025માં નિવૃત્ત થવાના હોવાથી તેઓ ફક્ત છ મહિના માટે ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપશે.
નોંધનીય છે કે જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ 65 વર્ષની ઉંમરે નિવૃત્ત થયા પછી જસ્ટિસ ખન્ના નવેમ્બર 2024 માં સીજેઆઈ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. જસ્ટિસ ગવઈને 24 મે, 2019ના રોજ ભારતની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ હાલ CJI બાદ સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ છે.
નોંધનીય છે કે 2007માં દેશના સર્વોચ્ચ ન્યાયિક પદ પર બઢતી પામેલા જસ્ટિસ કે.જી બાલકૃષ્ણન પછી તેઓ CJIનું પદ સંભાળનારા બીજા દલિત CJI બનશે. જસ્ટિસ ગવઈએ રાજ્યમાં ભૂતપૂર્વ હાઇકોર્ટ એડવોકેટ જનરલ અને જસ્ટિસ બેરિસ્ટર રાજા ભોસલે સાથે કામ કર્યું હતું. તેમણે મુંબઈ, નાગપુર, ઔરંગાબાદ અને પણજીમાં બેન્ચનું નેતૃત્વ કરતા 15 વર્ષથી વધુ સમય સુધી સેવા આપી હતી.
CJI તેમના અનુગામીની ભલામણ કરે ત્યારબાદ આ મામલે કેન્દ્રીય કાયદા મંત્રાલય વિચારણા કરીને નામ રાષ્ટ્રપતિને મોકલી આપે છે. રાષ્ટ્રપતિ પછીથી સત્તાવાર નિમણૂક કરીને મુખ્ય ન્યાયાધીશને શપથ માટે આમંત્રણ આપે છે.
ભારતમાં ન્યાયાધીશો 65 વર્ષની વયે નિવૃત્ત થાય છે. જસ્ટિસ ખન્નાનો કાર્યકાળ 6 મહિનાનો રહ્યો. જસ્ટિસ ગવઈ પણ જો CJI બને તો તેમનો કાર્યકાળ પણ એટલો જ રહેશે. જસ્ટિસ ચંદ્રચૂડ 2022થી 2024 એમ 2 વર્ષ CJI રહ્યા હતા.