જમ્મુ-કાશ્મીરમાં કામ કરવા આવતા શ્રમિકો પર આતંકી હુમલા સતત વધી રહ્યા છે. ગુરુવારે (24 ઑક્ટોબર, 2024), દક્ષિણ કાશ્મીરના ત્રાલ જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા એક પરપ્રાંતિય શ્રમિકને ગોળી મારીને ઘાયલ કરવામાં આવ્યો હતો . આતંકી હુમલામાં શ્રમિકના હાથમાં ઇજા થઈ હોવાનું સામે આવ્યું છે.
ઘાયલ શ્રમિકની ઓળખ પ્રીતમ સિંઘ તરીકે થઈ છે. તે ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. હાલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હોવાનું કહેવાય રહ્યું છે. હુમલા બાદ વિસ્તારમાં સુરક્ષાદળો તહેનાત કરવામાં આવ્યા છે અને આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
આ પહેલાં 20 ઑક્ટોબર 2024ના રોજ આતંકવાદીઓએ ગાંદરબલમાં સુરંગ માટે કામ કરતા 7 શ્રમિકોની હત્યા કરી નાખી હતી. આ શ્રમિકો પણ કાશ્મીરના સ્થાનિક રહેવાસી ન હતા. આ દરમિયાન આતંકીઓએ એક કાશ્મીરી ડોક્ટરની પણ હત્યા કરી હતી. તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.