ઇઝરાયેલે ભારતને (Israel India) આગ્રહ કર્યો છે કે, હમાસને (Hamas) આધિકારિક રીતે આતંકી સંગઠન (Terrorist Organisation) જાહેર કરવામાં આવે. આ માટે ઇઝરાયેલે તાજેતરમાં જ PoKમાં પાકિસ્તાનના ‘કાશ્મીર એકતા દિવસ’ નિમિત્તે હમાસની હાજરીને લઈને ચિંતા વ્યક્ત કરી છે. માહિતી અનુસાર, હમાસના નેતાઓ PoKની મુલાકાતે ગયા હતા અને તે UNના પ્રતિબંધિત આતંકી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના આતંકીઓ સાથે જોવા મળ્યા હતા.
ઇઝરાયેલે આ મુદ્દા પર ભારત સાથે ચર્ચા પણ કરી છે અને આ સાથે જ અનુરોધ પણ કર્યો છે કે, ભારત આધિકારિક રીતે હમાસને આતંકી સંગઠન ઘોષિત કરે. ભારતે હંમેશા આતંકવાદના મુદ્દા પર ઇઝરાયેલનું સમર્થન કર્યું છે. ઇઝરાયેલ પર થયેલા હમાસના હુમલાની પણ ભારતે કડક નિંદા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023માં ઇઝરાયેલે 2008ના મુંબઈ હુમલા માટે જવાબદાર પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ ઉપરાંત ભારતમાં ઇઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને આશા વ્યક્ત કરી હહતી કે, ભારત પણ હમાસ પર પ્રતિબંધ મૂકશે.