Sunday, May 18, 2025
More

    મુર્શિદાબાદ હિંસા બાદ બાંગ્લાદેશે ડહાપણ કરીને મુસ્લિમ લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની આપી સલાહ, ભારત સરકારે કહ્યું- પોતાના દેશ પર જ ધ્યાન આપો

    તાજેતરમાં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ એક્ટના વિરોધમાં પ્રદર્શન કરવાની આડમાં મુસ્લિમ ટોળાંએ આચરેલી હિંસા બાદ પાડોશી દેશ બાંગ્લાદેશે કોઇએ પૂછ્યું ન હોવા છતાં ડહાપણ ડહોળ્યું છે. 

    એક નિવેદન બહાર પાડીને બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસના પ્રેસ સેક્રેટરી શફીકુલ આલમે કહ્યું કે, “વચગાળાની સરકાર આ બનાવમાં બાંગ્લાદેશને સંડોવવાના ભારતના પ્રયાસ સામે કડક શબ્દોમાં વાંધો ઉઠાવે છે. મુર્શિદાબાદમાં થયેલી સાંપ્રદાયિક હિંસા સાથે બાંગ્લાદેશને જોડવાના કોઈ પણ પ્રયાસનો અમે વિરોધ નોંધાવીએ છીએ.”

    સાથે લખ્યું કે, અમે ભારત સરકાર અને પશ્ચિમ બંગાળની સરકારને વિનંતી કરીએ છીએ કે તેઓ લઘુમતી મુસ્લિમ સમુદાયની સુરક્ષા માટે પગલાં ઉઠાવે.”

    જોકે ભારત સરકારે બાંગ્લાદેશની આ અવળચંડાઈનો ઉચિત જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, અમે બાંગ્લાદેશની આ ટિપ્પણીઓને સંપૂર્ણપણે નકારી કાઢીએ છીએ. સાથે એમ પણ કહ્યું કે બાંગ્લાદેશે બીજાને સલાહ આપવાના સ્થાને પોતાને ત્યાં લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા પર ધ્યાન આપવું જોઈએ. 

    વિદેશ મંત્રાલયે એ પણ ધ્યાન દોર્યું કે આ બીજું કશું જ નહીં પણ ભારતે જે રીતે બાંગ્લાદેશમાં લઘુમતીઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો એ જ રીતે ભારતમાં પણ સમાન સ્થિતિ છે એવું દર્શાવવાનો બાંગ્લાદેશની સરકારનો કપટપૂર્ણ અને છદ્મ પ્રયાસ છે, પરંતુ બાંગ્લાદેશમાં હજુ પણ ગુનેગારો ખુલ્લા રખડી રહ્યા છે.”

    અંતે કહેવામાં આવ્યું કે, “આ પ્રકારે નકામી ટિપ્પણીઓ કરવા કરતાં બાંગ્લાદેશે પોતાને ત્યાં જ લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા પર ધ્યાન આપવું જોઈએ.”