Wednesday, May 14, 2025
More

    પહલગામ આતંકી હુમલાને લઈને અમેરિકામાં પાકિસ્તાનની એમ્બેસી સામે ભારતીય સમુદાયનું પ્રદર્શન: લાગ્યા ‘પાકિસ્તાન મુર્દાબાદ’ના નારા

    ભારતના જમ્મુ અને કાશ્મીરમાં આવેલા પહલગામમાં થયેલા ભયંકર આતંકી હુમલાના (Pahalgam Terrorist Attack) વિરોધમાં ન્યૂયોર્કમાં (New York) રહેતા ભારતીય સમુદાયના (Indian Diaspora) સભ્યોએ પાકિસ્તાન કોન્સ્યુલેટની (Pakistan) બહાર એક મોટું પ્રદર્શન યોજ્યું હતું. આ પ્રદર્શનમાં ભાગ લેનારાઓએ હુમલામાં માર્યા ગયેલા લોકોના ફોટા સાથેના બેનર્સ લઈને આતંકવાદનો વિરોધ કર્યો અને પાકિસ્તાન પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો.

    પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા (PTI) દ્વારા શેર કરવામાં આવેલી તસવીરો અને વિડીયોમાં જોવા મળે છે કે પ્રદર્શનકારીઓએ ‘Declare Islamic Republic of Pakistan a Terrorist State’ જેવા બેનર્સ લઈને પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

    બેનર્સ પર હુમલામાં માર્યા ગયેલા લોકોના ફોટા અને નામો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, પ્રદર્શનકારીઓએ ‘Pahalgam Hindu Massacre’ અને ‘Stop Hindu Genocide’ જેવા શબ્દો લખેલા બેનર્સ લઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત ‘પાકિસ્તાન મુર્દાબાદ’ના નારા પણ લગાવ્યા હતા.

    ન્યૂયોર્કમાં રહેતા ભારતીય સમુદાયે આ હુમલાને પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનું પરિણામ ગણાવ્યું હતું. ભારતીય અધિકારીઓએ પણ આ હુમલાને પાકિસ્તાન સાથે જોડ્યો છે. પ્રદર્શન દરમિયાન, ભારતીય સમુદાયે આંતરરાષ્ટ્રીય સમુદાયને પાકિસ્તાન પર કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

    22 એપ્રિલ 2025ના રોજ, પહલગામ નજીક બૈસરન વેલીમાં 5-8 સશસ્ત્ર આતંકવાદીઓએ હિંદુ પર્યટકો પર હુમલો કર્યો હતો, જેમાં 26 લોકોના મોત થયા હતા અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ હુમલાની જવાબદારી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) નામના આતંકવાદી સંગઠને લીધી હતી, જે પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાનું એક પેટા સંગઠન છે. આ હુમલામાં પાકિસ્તાનની સંડોવણીને લઈને ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ કડક પગલાં પણ લીધા છે.