રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) પ્રમુખ મોહન ભાગવતે (Mohan Bhagwat) અયોધ્યા (Ayodhya) રામ મંદિરને (Ram Mandir) લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. સોમવારે (13 જાન્યુઆરી) તેમણે કહ્યું છે કે, રામ મંદિર નિર્માણની તારીખને ‘પ્રતિષ્ઠા દ્વાદશી’ તરીકે ઉજવવામાં આવવી જોઈએ. કારણ કે, ભારતને ‘સાચી સ્વતંત્રતા’ આ જ દિવસે મળી હતી.
મધ્ય પ્રદેશના ઇન્દૌરમાં યોજાયેલા એક સમારોહમાં RSSના વડા મોહન ભાગવતે આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “રામજન્મભૂમિ માટે ઘણી સદીઓ સુધી પરચક્રનો સામનો કરવો પડ્યો હતો. રામ મંદિર આંદોલન કોઈના વિરોધ માટે નહોતું શરૂ કરાયું. આ આંદોલન ભારતના ‘સ્વ’ને જાગૃત કરવા માટે શરૂ કરવામાં આવ્યું હતું.”
તેમણે કહ્યું કે, “ગયા વર્ષે રામ મંદિરના નિર્માણ દરમિયાન દેશમાં કોઈ કલેશ નહોતો. દેશને સાચી સ્વતંત્રતા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાના દિવસે મળી હતી.” નોંધવા જેવું છે કે, 22 જાન્યુઆરી, 2024ના પાવન દિવસે સદીઓની રાહ બાદ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહનું આયોજન થયું હતું અને ભગવાન રામલલા નિજગૃહમાં પરત ફર્યા હતા.