Thursday, May 8, 2025
More

    ‘આતંકવાદને નાબૂદ કરવો અતિ આવશ્યક’: શ્રી શ્રી રવિશંકરે ઑપરેશન સિંદૂરને ગણાવ્યું ભારતનું ‘સ્માર્ટ સ્ટેપ’, પહલગામ હુમલા બાદ કહ્યું હતું- માત્ર નિંદા કરવી નથી પૂરતી

    આધ્યાત્મિક ગુરુ અને આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકરે (Sri Sri Ravishankar) ઑપરેશન સિંદૂર (Operation Sindoor) હેઠળ ભારતની સૈન્ય કાર્યવાહીને ‘સ્માર્ટ સ્ટેપ’ ગણાવીને આતંકવાદ સામેની લડાઈમાં દેશની પ્રતિબદ્ધતાને બિરદાવી છે. આ ઑપરેશનમાં ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓ પર ચોક્કસ હુમલા કર્યા હતા.

    શ્રી શ્રી રવિશંકરે પોતાના નિવેદનમાં જણાવ્યું, “આતંકવાદ માનવતા વિરુદ્ધ છે અને તેને સંપૂર્ણ રીતે નાબૂદ કરવો જરૂરી છે. જે લોકો આવા કામ કરે છે તેમને પાઠ ભણાવવો જરૂરી છે. ભારતે આ બાબતે સ્માર્ટ પગલું ભર્યું છે અને ફક્ત આતંકવાદી ઠેકાણાઓને જ નિશાન બનાવ્યા છે.”

    શ્રી શ્રી રવિશંકરે પોતાના નિવેદનમાં જણાવ્યું, “આ પગલું ભારતની નીતિ અને નિશ્ચયને દર્શાવે છે. આવા સમયે જ્યારે વૈશ્વિક સુરક્ષા મહત્વની છે, ત્યારે ભારતે યોગ્ય દિશામાં પગલું ભર્યું છે.” તેમણે વધુમાં કહ્યું, “આ પ્રકારની કાર્યવાહીથી દેશની પ્રતિષ્ઠા વધે છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાગે છે.”

    શ્રી શ્રી રવિશંકરે દેશવાસીઓને અપીલ કરી કે, “જેને યુદ્ધનો ભય હોય તેમણે ડરવાની જરૂર નથી, આપણો દેશ શ્રેષ્ઠ હાથમાં છે. PM મોદી સ્માર્ટ નિર્ણય લઈ રહ્યા છે.

    આ ઑપરેશન 22 એપ્રિલના પહલગામ આતંકવાદી હુમલા બાદ થયું, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. શ્રી શ્રી રવિશંકરે આ હુમલાની નિંદા હતી તથા આતંકવાદીઓ વિરુદ્ધ કડક પગલાં લેવા પણ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે માત્ર નિંદા કરવી પૂરતી નથી.