પહલગામ ઇસ્લામી આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ પર રોક લગાવ્યા બાદ હવે ચિનાબ નદી પર બનાવવામાં આવેલા બગલિહાર ડેમના દરવાજા બંધ કરીને પાણી રોકી દીધું હોવાનું મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે.
આ જ પ્રકારે હવે ઝેલમ નદી પરના કિશનગંગા ડેમને પણ બંધ કરીને પાણીનો પ્રવાહ રોકવાની યોજનાઓ ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ બંને ડેમ, રામબાણ, જમ્મુ સ્થિત બગલિહાર ડેમ અને ઉત્તર કાશ્મીરના કિશનગંગા ડેમમાંથી પાણી છોડવાની સત્તા ભારત પાસે છે. મામલાના જાણકાર અધિકારીઓએ મીડિયાને જણાવ્યું કે, બગલિહાર ડેમના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે, જેથી પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પાણી ન જઈ શકે.
આ બંને ડેમ સામે પાકિસ્તાન વખતોવખત વાંધો ઉઠાવતું રહ્યું છે અને મામલો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લઈ જવાનો પ્રયાસ કર્યો છે. જોકે તેનો કોઈ ફેર પડ્યો નથી.
ઉલ્લેખનીય છે કે વર્ષ 1960માં થયેલી સિંધુ જળ સંધિ પર ભારતે તાજેતરમાં જ રોક લગાવી દીધી હતી. આ સંધિ હેઠળ સિંધુ અને અન્ય નદીઓના પાણીના ઉપયોગનું નિયમન કરવામાં આવ્યું છે. અમુક ભાગ પાકિસ્તાનને મળ્યો છે, અમુક ભાગ ભારતને.