સંયુક્ત રાષ્ટ્રના મંચ પર ભારતે ફરી એક વખત પાકિસ્તાનની કરતૂતો અને વૈશ્વિક મંચ પર ચલાવવામાં આવતાં જૂઠાણાંની પોલ ખોલી છે. ભારતના પ્રતિનિધિએ સુરક્ષા પરિષદની એક ચર્ચામાં કહ્યું કે જે દેશ આતંકવાદીઓ અને નાગરિકોમાં ફેર ન સમજી શકતો હોય તેને નાગરિકોની સુરક્ષા મુદ્દે બોલવાનો કોઈ અધિકાર નથી.
#WATCH | New York: India's Permanent Representative to the United Nations, Ambassador Harish P., gave a statement at the UN Security Council Open Debate on Addressing emerging threats, ensuring the safety of civilians, humanitarian and UN Personnel, journalists, and media… pic.twitter.com/bT9rch31Oq
— ANI (@ANI) May 23, 2025
ભારતના સ્થાયી પ્રતિનિધિ હરીશ પી.એ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં બોલતાં કહ્યું કે, “ભારતે દાયકાઓથી તેની સરહદ પર પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો સામનો કર્યો છે. આવો દેશ નાગરિકોની સુરક્ષાના મુદ્દે ચર્ચામાં ભાગ લે એ પણ આંતરરાષ્ટ્રીય સમુદાય માટે અત્યંત આપત્તિજનક બાબત છે. જે દેશ નાગરિકો અને આતંકવાદીઓમાં ફેર ન સમજી શકતો હોય તેને નાગરિક સુરક્ષા મુદ્દે બોલવાનો લેશમાત્ર અધિકાર નથી.”
ત્યારબાદ તેમણે પાકિસ્તાનની કરતૂતોનો ઉલ્લેખ કરીને કહ્યું કે, “આ જ મહિને પાકિસ્તાનની સેનાએ અમારાં સરહદી ગામડાંઓમાં જાણીજોઈને ગોળીબાર અને તોપમારો કર્યો હતો, જેમાં 20થી વધુ નાગરિકો માર્યા ગયા અને 80થી વધુને ઈજા પહોંચી. એટલું જ નહીં, ગુરુદ્વારા, મંદિર, કોન્વેન્ટ સહિતનાં પ્રાર્થનાસ્થળો ઉપરાંત સ્વાસ્થ્ય સુવિધાઓને પણ નિશાન બનાવવામાં આવી. આવાં કારસ્તાનો કરીને અહીં આવીને સલાહ આપવી એ બીજું કશું જ નહીં પરંતુ પાખંડ છે.”