Monday, May 5, 2025
More

    ચારે તરફથી ઘેરાયું કંગાળ પાકિસ્તાન: નાણામંત્રી નિર્મલા સીતારામણની ADB અધ્યક્ષ સાથે બેઠક, આતંકી દેશનું ફન્ડિંગ રોકવાની માંગ

    જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાના (Pahalgam Terrorist Attack) પગલે ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે સખત વલણ અપનાવ્યું છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે એશિયન ડેવલપમેન્ટ બેંકને (ADB) પાકિસ્તાનને આપવામાં આવતું ભંડોળ (Funding) બંધ કરવાની માંગ કરી છે. આ માંગ એવા સમયે ઉઠી છે જ્યારે પહલગામ હુમલામાં પાકિસ્તાનની સંડોવણીના આરોપો સામે આવ્યા છે, જેમાં નિર્દોષ હિંદુ પ્રવાસીઓ સહિત 26 લોકોના જીવ ગયા હતા.

    નાણામંત્રી નિર્મલા સીતારમણે ADBના પ્રમુખ મસાટો કાંડા સાથે મુલાકાત કરી અને પાકિસ્તાનને આપવામાં આવતી નાણાકીય સહાયનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે જણાવ્યું કે પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપે છે અને આવા દેશને નાણાકીય સહાય આપવી એ આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી છે. સીતારમણે ભારપૂર્વક કહ્યું કે, ADBએ પાકિસ્તાનને આપવામાં આવતા લોન અને ગ્રાન્ટ્સની સમીક્ષા કરવી જોઈએ અને તેને તાત્કાલિક બંધ કરવું જોઈએ.

    પહલગામમાં થયેલા આતંકી હુમલાએ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં વધુ તણાવ પેદા કર્યો છે. આ હુમલામાં ઘણા લોકો માર્યા ગયા હતા, જેને ભારતે પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનું પરિણામ ગણાવ્યું છે. આ ઘટના બાદ ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને પાકિસ્તાન સામે કડક પગલાં લેવાની વાત કરી છે.

    અહેવાલો નુસાર, ભારતે ADBને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે પાકિસ્તાનને આપવામાં આવતું ભંડોળ આતંકવાદી પ્રવૃત્તિઓને આડકતરી રીતે મદદ કરી શકે છે. ભારતનું કહેવું છે કે આવા દેશોને નાણાકીય સહાય આપવાથી આતંકવાદ સામેની વૈશ્વિક લડાઈ નબળી પડી શકે છે.