Friday, May 23, 2025
More

    ‘એક પેટર્ન હેઠળ હિંદુઓને કરાઈ રહ્યા છે ટાર્ગેટ, ગુનેગારો હજુ ખુલ્લા ફરે છે’: બાંગ્લાદેશમાં હિંદુ નેતાની હત્યા બાદ ભારતે કહ્યું– બહાનાંબાજી બંધ કરીને સુરક્ષા સુનિશ્ચિત કરે યુનુસ સરકાર

    બાંગ્લાદેશમાં થયેલી હિંદુ નેતા ભાબેશ ચંદ્ર રૉયની હત્યા મામલે ભારત સરકારના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કડક શબ્દોમાં ટીકા કરી છે અને બાંગ્લાદેશની વચગાળાની સરકારને લઘુમતીઓની અને ખાસ કરીને હિંદુ લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ટકોર કરી છે. 

    વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક નિવેદનમાં કહ્યું કે, ‘બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતી નેતા ભાબેશ ચંદ્ર રૉયના અપહરણ અને કરપીણ હત્યાની અમે ચિંતા સાથે નોંધ લીધી છે.’

    નિવેદન આગળ જણાવે છે કે, ‘આ હત્યા વચગાળાની સરકાર હેઠળ સૂચવે છે કે કઈ રીતે હિંદુ લઘુમતીઓ પર એક સુવ્યવસ્થિત પેટર્નથી અત્યાચારો કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ ભૂતકાળમાં આવી જે-જે ઘટનાઓ બની છે તેને અંજામ આપનારા ગુનેગારો હજુ ખુલ્લા ફરી રહ્યા છે.’

    ‘અમે આ ઘટનાને વખોડી કાઢીએ છીએ. વચગાળાની સરકારને વધુ એક વખત યાદ કરાવવું રહ્યું કે કોઈ પણ પ્રકારનાં બહાનાં શોધ્યા વગર કે ભેદ પાડ્યા વગર પોતાને ત્યાં રહેતા હિંદુઓ સહિત તમામ લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરે.’ વિદેશ મંત્રાલયે કહ્યું. 

    ઘટના તાજેતરની છે, જેમાં બાંગ્લાદેશના દિનાજપુરમાં એક હિંદુ નેતાને ઘરમાંથી અપહરણ કર્યા બાદ મારી નાખવામાં આવ્યા. પરિવાર ન્યાયની માંગ કરી રહ્યો છે, બીજી તરફ બાંગ્લાદેશ પોલીસ હજુ આરોપીઓને પકડી શકી નથી.