મંગળવારે (3 ડિસેમ્બર) દેશના વિદેશમંત્રી એસ જયશંકરે (External Affairs Minister S Jaishankar) લોકસભા સત્રમાં પોતાનું નિવેદન આપ્યું હતું. દરમિયાન તેમણે ભારત-ચીન સંબંધો (India-China Relations) પર વધુ ભાર આપ્યો હતો. તેમણે કહ્યું છે કે, ભારત-ચીન વચ્ચેના સંબંધોમાં સુધાર થઈ રહ્યો છે અને LAC પર પણ સ્થિતિ સામાન્ય થઈ રહી છે. સીમા પર શાંતિ સ્થાપિત કરવાના તમામ પ્રયાસો થઈ રહ્યા છે.
તેમણે કહ્યું કે, કૂટનીતિ દ્વારા સરહદો પર સ્થિતિ સામાન્ય બની છે અને બંને પક્ષો સ્થિતિને સુધારવા માટે પ્રતિબદ્ધ છે. બંનેમાંથી કોઈપણ પક્ષ હાલની સામાન્ય સ્થિતિ સાથે કોઈપણ પ્રકારની છેડછાડ કરી શકશે નહીં. આ સાથે જ તેમણે એવું પણ કહ્યું કે, ભારત અને ચીન સહમતીથી જ કોઈપણ મામલે સમાધાન કરશે.
આ સાથે જ તેમણે આ કૂટનીતિનો સૌથી મોટો શ્રેય ભારતીય સેનાને આપ્યો છે. તેમણે કહ્યું કે, LAC પર સ્થિતિ સામાન્ય થવા પાછળનો સૌથી મોટો શ્રેય આપણાં દેશની સેનાને જાય છે. તેમણે વધુમાં કહ્યું કે, આજે ભારત અને ચીન વચ્ચેના સંબંધો સુધરતા જોવા મળી રહ્યા છે. બંને દેશો વચ્ચે સહમતી પણ બની છે.