Thursday, May 15, 2025
More

    ’48 કલાકમાં સરેન્ડર કરો, અન્યથા ન ભૂતો ન ભવિષ્યતિ જેવી કાર્યવાહી કરીશું’: ઘૂસણખોરોને ચેતવણી આપતાં હર્ષ સંઘવીએ કહ્યું– રાજ્યના દરેક ખૂણામાં એક્શન લેવાશે

    પહલગામમાં થયેલ હુમલા પછી ગુજરાત પોલીસે ઘૂસણખોરો વિરુદ્ધ કડક એક્શન લેવાનું શરૂ કર્યું છે. જે અંતર્ગત 25 એપ્રિલની રાત્રે અમદાવાદ અને સુરતમાં મેગા સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. આ બંને શહેરોમાંથી રાતોરાત એક હજારથી વધારે ગેરકાયદે નાગરિકો પકડી પાડ્યા છે. જેમના મોટાભાગના બાંગ્લાદેશીઓ છે.

    ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપી છે કે જે લોકો ગેરકાયદે રહે છે તેઓ 48 કલાકમાં સરેન્ડર કરે નહીં તો પોલીસ ઘરમાં ઘૂસીઘૂસીને બહાર કાઢશે. આ સિવાય તેમણે ગેરકાયદે નાગરિકોને આશરો આપનારાઓને પણ ચેતવણી આપી છે.

    તેમણે કહ્યું હતું કે, “હું એવા બધા લોકોને સ્પષ્ટ ચેતવણી આપવા માગું છું, જે ગેરકાયદે અથવા બાંગ્લાદેશમાંથી આવીને ભારતમાં રહે છે તે કાં તો પોતે સામેથી પોલીસ સ્ટેશનમાં જઈને સરેન્ડર કરી દે, નહીં તો ગુજરાત પોલીસ આ બધા લોકો પર ન ભૂતો ન ભવિષ્યતિ એવી કાર્યવાહી કરશે.”

    તેમણે આગળ કહ્યું હતું કે, “ગુજરાતના દરેક ખૂણામાં આ જ દિશામાં કામ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ જ નિર્દેશના આધારે આજે સાંજથી પહેલાં દરેક પાકિસ્તાનીઓને પાકિસ્તાન મોકલવાની તૈયારી ચાલી રહી છે. એ જ દિશામાં રાજ્યસરકારની જવાબદારી છે કે કોઈ પણ દેશના નાગરિક ગેરકાયદે આપણા રાજ્યમાં ન રહેવા જોઈએ.”