Sunday, May 18, 2025
More

    ક્યાંક બૉમ્બથી ઉડાવી દેવાયાં મકાન, ક્યાંક બુલડોઝર ફેરવાયું: કાશ્મીરમાં વધુ ચાર આતંકવાદીઓનાં ઘર ધ્વસ્ત, કુલ આંકડો 9 પર પહોંચ્યો

    કાશ્મીરમાં ચાલતા આતંકવાદીઓના સફાઈ અભિયાનના ભાગરૂપે વધુ ચાર આતંકવાદીઓનાં ઘર તોડી પાડવામાં આવ્યાં છે. જેની સાથે ઘર તોડી પાડવામાં આવ્યાં હોય તેવા આતંકવાદીઓનો આંકડો 9 પર પહોંચી ગયો છે. આ પહેલાં પાંચ આતંકવાદીઓ વિરુદ્ધ આવી જ કાર્યવાહી કરવામાં આવી હતી.

    તાજેતરની કાર્યવાહીમાં સેના અને સ્થાનિક તંત્રએ બાંદીપોરામાં સ્થિત જમીલ અહેમદનું ઘર તોડી પાડ્યું હતું, જ્યારે પુલવામાના ત્રાલમાં અમીર નાઝિર વાની, જે જૈશ-એ-મોહમ્મદનો આતંકવાદી છે, તેનું પણ ઘર ધ્વસ્ત કરવામાં આવ્યું. વર્ષ 2024માં તે આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ થયો હતો. 

    આ સિવાય ઉત્તર કાશ્મીરના કુપવાડામાં સક્રિય લશ્કરના આતંકી ફારૂક અહેમદ તીડવાનું ઘર પણ બૉમ્બ બ્લાસ્ટમાં હતું-નહતું થઈ ગયું. કુલગામમાં ઝાકિર નામના એક આતંકવાદી અને શોપિયાંમાં શહીદ અહેમદ નામના આતંકવાદી સામે પણ આ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી. 

    સૌથી પહેલાં તંત્રએ પહલગામ આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદીઓનાં ઘરો બૉમ્બથી ઉડાવી દીધાં હતાં. જેમાં આસિફ શેખ અને આદિલ ઠોકરનો સમાવેશ થાય છે. ત્યારબાદ ખીણમાં સક્રિય અન્ય આતંકવાદીઓનાં ઘરો પણ ધ્વસ્ત કરવાનું અભિયાન ચાલુ કરવામાં આવ્યું. 

    સુરક્ષાબળોનું કહેવું છે કે આ અભિયાન ચાલુ જ રહેશે અને જેટલા આતંકવાદીઓ છે તે તમામ વિરુદ્ધ આવી જ કાર્યવાહી કરવામાં આવશે. 

    બીજી તરફ, પહલગામ હુમલો કરનાર આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઑપરેશન સઘન બનાવવામાં આવ્યું છે. સુરક્ષાબળો ઠેરઠેર દરોડા પાડીને આતંકી ગતિવિધિઓ પકડી રહ્યા છે.