Friday, May 23, 2025
More

    પહલગામ હુમલા સ્થળે પહોંચ્યા ગૃહમંત્રી અમિત શાહ, પીડિતોના પરિવારો સાથે કરી મુલાકાત: PM મોદીએ યોજી ઉચ્ચસ્તરીય બેઠક

    જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલાએ (Pahalgam Terrorist Attack) આખા દેશને હચમચાવી દીધો છે. આ હુમલામાં ઘણા લોકો માર્યા ગયા અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાને પગલે કેન્દ્ર સરકારે તાત્કાલિક પગલાં લેવાનું શરૂ કર્યું છે, જેમાં ગૃહમંત્રી અમિત શાહની (Amit Shah) પહલગામ મુલાકાત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દ્વારા ઉચ્ચસ્તરીય બેઠકનો સમાવેશ થાય છે.

    23 એપ્રિલ, 2025ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર પહોંચ્યા અને ત્યાંથી સીધા પહલગામ ગયા હતા. તેમણે હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે હુમલાના પીડિતો અને તેમના પરિવારો સાથે મુલાકાત કરી અને તેમની સાથે સંવેદના વ્યક્ત કરી હતી.

    આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાનો પોતાનો વિદેશ પ્રવાસ અધવચ્ચે મોકૂફ રાખીને 23 એપ્રિલે નવી દિલ્હી પરત ફર્યા. તેમણે તાત્કાલિક કેબિનટ સુરક્ષા સમિતિની (CCS) ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી.

    આ મામલે PM મોદીએ કહ્યું હતું કે, “આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળના લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે…તેમને બક્ષવામાં આવશે નહીં! તેમનો નાપાક એજન્ડા ક્યારેય સફળ થશે નહીં. આતંકવાદ સામે લડવાનો આપણો સંકલ્પ અટલ છે અને તે વધુ મજબૂત બનશે.”