Wednesday, May 14, 2025
More

    દિલ્હીમાં હલચલ: ગૃહમંત્રી શાહ, વિદેશ મંત્રી જયશંકર રાષ્ટ્રપતિને મળ્યા, G20 દેશોના રાજદૂતોને પહલગામ હુમલા વિશે અપાઈ જાણકારી

    પહલગામ ઈસ્લામી આતંકી હુમલા અને ત્યારબાદ પાકિસ્તાન વિરુદ્ધ ભારત સરકાર દ્વારા સતત ચાલતી કાર્યવાહી વચ્ચે ગુરુવારે (24 એપ્રિલ) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વિદેશ મંત્રી એસ જયશંકર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળ્યા હતા. 

    બંને મંત્રીઓએ રાષ્ટ્રપતિને પહલગામ આતંકવાદી હુમલા વિશે અને ત્યારબાદ ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ લીધેલા નિર્ણયો વિશે વિગતવાર માહિતી આપી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. 

    બીજી તરફ, કેન્દ્રીય વિદેશ મંત્રાલયે G20 દેશોમાંથી અમુક દેશોના રાજદ્વારીઓની એક બેઠક બોલાવી હતી અને તેમને હુમલા વિશે જાણકારી આપી હતી. લગભગ 30 મિનિટ ચાલેલી આ બેઠકમાં વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આ રાજદૂતોને હુમલા વિશે તમામ જાણકારી આપી. જેમાં કેનેડા અને ચીનના રાજદૂતો પણ સામેલ છે. 

    હુમલા બાદ દિલ્હીમાં એક તરફ હલચલ તેજ છે અને બીજી તરફ બિહારની ધરતી પરથી પીએમ મોદીએ આતંકવાદને અને આતંકવાદને પોષતા આકાઓને કચડી નાખવાનું એલાન કરી દીધું છે. તેમણે કહ્યું કે, આતંકવાદીઓને તેમની કલ્પના બહારની સજા મળશે. આ તરફ કૂટનીતિક રીતે પાકિસ્તાનને ઘૂંટણિયે પાડવાનું કામ પણ સતત ચાલી રહ્યું છે. આ જ ક્રમમાં વિદેશ મંત્રાલયે તાજેતરમાં તમામ પાકિસ્તાની નાગરિકોના વિઝા પર પ્રતિબંધ મૂકી દીધો અને જેઓ હાલ ભારતમાં છે તેમને દેશ છોડવા માટે કહી દેવામાં આવ્યું.