Friday, May 16, 2025
More

    ટેરિટોરિયલ આર્મીના જવાનો, અધિકારીઓને બોલાવવા માટે સેના પ્રમુખને અપાઈ સત્તા: રક્ષા મંત્રાલયનો નિર્ણય

    પાકિસ્તાન સાથે યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારના રક્ષા મંત્રાલયે ચીફ ઑફ આર્મી સ્ટાફને ટેરિટોરિયલ આર્મીને સામેલ કરવા માટે વિશેષ સત્તા આપી છે. 

    સરકારે એક નોટિફિકેશનમાં જણાવ્યું કે થલસેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને ટેરિટોરિયલ આર્મી નિયમો 1948ના નિયમ 33 હેઠળ અધિકાર આપવામાં આવ્યો છે, જે હેઠળ તેઓ કોઈ પણ ટેરિટોરિયલ આર્મીના અધિકારી કે જવાનને સેનાનાં નિયમિત બળોની સહાય માટે બોલાવી શકે છે. 

    ટેરિટોરિયલ આર્મી એ ભારતીય સશસ્ત્ર સેનાઓનું જ એક બળ છે, જેની સ્થાપના 1949માં ટેરિટોરિયલ આર્મી એક્ટ દ્વારા કરવામાં આવી હતી. જોકે આ ફોર્સ નિયમિત ફોર્સ કરતાં થોડી અલગ હોય છે. તેનો ઉદ્દેશ્ય યુદ્ધ, આપદા કે આપાતકાલીન પરિસ્થિતિમાં સેનાને સહાયતા પૂરી પાડવાનો હોય છે. તેમાં સામેલ જવાન અને અધિકારીઓ સામાન્ય નાગરિકોની જેમ જ જીવે છે, પણ સમયાંતરે સૈન્ય પ્રશિક્ષણ માટે બોલાવવામાં આવતા હોય છે. આવી યુદ્ધની પરિસ્થિતિમાં તેમને સેનાની સહાય માટે બોલાવવામાં આવી શકે. કોઈ પણ સ્વેચ્છાએ આ ટેરિટોરિયલ આર્મીમાં સેવા આપી શકે છે. 

    ભારતીય ટેરિટોરિયલ આર્મીમાં અનેક મોટી હસ્તીઓ પણ સામેલ છે. જેમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, પૂર્વ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની વગેરેનો સમાવેશ થાય છે.