સંભલમાં (Sambhal) મુઘલ આક્રાંતા મહમૂદ ગઝનવીના ભાણિયા અબ્દુલ સલાર ગાઝીની (ગાઝી મિયાં/Ghazi Miyan) યાદમાં દર વર્ષે યોજાતા મેળાને (Fair) લઈને વિવાદ વધી રહ્યો છે. ત્યારે 18 માર્ચે મેળાની શરૂઆત પહેલાં જે જગ્યાએ આ મેળાનો નેજો ઉભો કરવામાં આવતો હતો તે ખાડો પૂરી દેવામાં આવ્યો છે.
પોલીસે આ ખાડાને સિમેન્ટથી બંધ કરી દીધો હતો. આ કાર્યવાહી ભારે પોલીસ અને સુરક્ષા દળો તૈનાત કરીને કરવામાં આવી હતી. આ મેળાનો વિરોધ કરી રહેલ પક્ષનું કહેવું છે કે મહમૂદ ગઝનવીનો ભાણિયો અબ્દુલ સલાર મસૂદ ગાઝી લૂંટના ઈરાદાથી ભારત આવ્યો હતો. તેની યાદમાં નેજો ફરકાવવો યોગ્ય નથી.

આ મામલે એએસપી શ્રીશચંદ્રએ કહ્યું, “આ એક ખોટી પરંપરા હતી. ખોટી પરંપરાઓ ચાલુ રાખવી યોગ્ય નથી. આ કારણોસર નેજા મેળા માટે પરવાનગી આપવામાં આવી ન હતી.” જોકે, સપાના ધારાસભ્ય ઇકબાલ મહમૂદે આ નિર્ણય પર આકરી પ્રતિક્રિયા આપી. હતી.
નોંધનીય છે કે ગત વર્ષે મેળા કમિટીને સદ્ભાવના મેળાના નામે પરવાનગી આપવામાં આવી હતી. આ પરવાનગી તત્કાલીન SDM સુનીલ કુમાર યાદવે આપી હતી. આ વખતે મજહબી નેજા મેળા સમિતિના પ્રમુખ શાહિદ મસૂદી, કારી કમાલ અને શહેર તહફુઝ નેજા સમિતિના સચિવ તસ્દીક ઇલાહીને નોટિસ આપવામાં આવી છે.
જોકે પ્રશાસન દ્વારા પરવાનગી ન આપતા આ વખતે મુઘલ આક્રાંતાના નામે મેળો ભરાશે નહીં. આખા વિસ્તારમાં શાંતિ છે. સોશિયલ મીડિયા પર કડક નજર રાખવામાં આવી રહી છે. મીડિયા સેલ સતત દેખરેખ રાખી રહ્યું છે. જો કોઈ વ્યક્તિ અફવા ફેલાવવાનો પ્રયાસ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
જ્યાં પણ મેળો ભરાય છે ત્યાં મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. ડ્રોન દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. સુરક્ષાના પગલે એએસપી (ઉત્તર) શ્રીશચંદ્ર અને સીઓ અનુજ ચૌધરીએ પણ પીએસી-આરઆરએફના જવાનો સાથે ફ્લેગ માર્ચ કર્યું હતું.