ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે (Gautam Gambhir) એબીપી ન્યૂઝના ઈન્ડિયા@2047 સમિટમાં ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ (India Pakistan cricket match) પર મોટું નિવેદન આપ્યું. જ્યારે ગંભીરને પૂછવામાં આવ્યું કે શું બંને દેશો વચ્ચે ક્રિકેટ મેચ થવી જોઈએ, ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું, “મારો અંગત અભિપ્રાય છે કે આવું ન થવું જોઈએ.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈ પણ ક્રિકેટ મેચ કે ફિલ્મ દેશના લોકો અને સૈનિકોના બલિદાન કરતાં વધુ મહત્વપૂર્ણ ન હોઈ શકે.
ગૌતમ ગંભીરે કહ્યું, “મેં પહેલા પણ કહ્યું છે કે કોઈ ક્રિકેટ મેચ, કોઈ બોલીવુડ ફિલ્મ, કોઈ કલાકાર, કોઈ પણ બાબત આપણા દેશના લોકોના જીવન, આપણા સૈનિકોના જીવન કરતાં વધુ મહત્વપૂર્ણ નથી. મારો વ્યક્તિગત અભિપ્રાય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કંઈ ન થવું જોઈએ.”
પૂછવામાં આવ્યું કે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ થઈ શકે છે, શું તમે રમવાનો ઇનકાર કરશો? ગૌતમ ગંભીરે કહ્યું કે આ નિર્ણય ભારત સરકારે લેવાનો છે, સરકાર જે પણ નિર્ણય લે, અમે તેની સાથે છીએ. રમવું કે નહીં તે સરકાર નક્કી કરશે. આ પ્રશ્ન ઇન્ટરવ્યુ શરૂ થયાના 6 મિનિટ 40 સેકન્ડે પૂછવામાં આવ્યો હતો.
ગૌતમ ગંભીર અગાઉ ભારત-પાકિસ્તાન ક્રિકેટ સંબંધો પર પણ કડક વલણ અપનાવી ચૂક્યા છે. તેમનું માનવું છે કે દેશની સુરક્ષા અને સન્માન સાથે સમાધાન ન થવું જોઈએ.