Sunday, May 18, 2025
More

    નક્સલીઓ વિરુદ્ધ મહાઅભિયાન: છત્તીસગઢના કરેગુટ્ટા પર્વત પર ચાલતા ઑપરેશનમાં સુરક્ષાબળોને મોટી સફળતા, એક હિસ્સા પર તિરંગો ફરકાવ્યો 

    નક્સલીઓ વિરુદ્ધ મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા મહાઅભિયાનના ભાગરૂપે છત્તીસગઢ-તેલંગાણાની સરહદ પર આવેલી કરેગુટ્ટા ટેકરીના એક ભાગ પર સુરક્ષાબળોએ કબજો કરી લીધો છે અને તિરંગો ફરકાવી દીધો છે. 

    ઉલ્લેખનીય છે કે 22 એપ્રિલથી જ નક્સલીઓ વિરુદ્ધ છત્તીસગઢનાં સુરક્ષાબળો અને CRPFએ એક ઑપરેશન ચાલુ કર્યું છે. કુલ 280 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા આ વિસ્તારમાં નક્સલી ગતિવિધિઓનું પ્રમાણ અત્યાધિક રહ્યું છે. આ વિસ્તાર એવો છે કે ત્યાં સીધી રીતે પહોંચવા માટે કોઈ માર્ગ નથી અને જંગલ અને પહાડો ભરપૂર છે, જેથી નક્સલી પ્રવૃત્તિઓ ફૂલીફાલી હતી અને તેને ડામવા જ હવે સેના મેદાને ઉતરી છે. 

    લગભગ પાંચ હજાર ફિટની ઊંચાઈએ પહાડના એક ભાગ પર સુરક્ષાબળો પહોંચી ચૂક્યાં છે અને ત્યાં જઈને તિરંગો પણ ફરકાવી દીધો છે. જોકે હાલ સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી, કારણ કે ઑપરેશન હજુ પણ ચાલી રહ્યું છે. 

    કેન્દ્રની મોદી સરકાર ઘોષણા કરી ચૂકી છે કે 31 માર્ચ 2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદ ખતમ કરવામાં આવશે. મોટાભાગના હિસ્સાઓમાંથી નક્સલીઓ ખતમ થઈ ચૂક્યા છે અને હવે છત્તીસગઢના થોડા જિલ્લાઓમાં બાકી રહી ગયા છે તેમનો સફાયો ચાલી રહ્યો છે.