Wednesday, May 14, 2025
More

    ‘ઑપરેશન સિંદૂર’માં આતંકવાદી મસૂદ અઝહરનો આખો પરિવાર પૂરો: બહેન-બનેવી-ભત્રીજાનાં મોત, 4 નજીકના આતંકી હેન્ડલરો પણ ઠાર

    પહલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ‘ઑપરેશન સિંદૂર’ પાર પાડીને પાકિસ્તાની આતંકીઓના ઠેકાણાં તબાહ કરી નાખ્યા છે. આ ઑપરેશનમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ અને આંતરરાષ્ટ્રીય આતંકી મસૂદ અઝહરનો આખો પરિવાર તબાહ થઈ ગયો છે. જાણકારી મળી છે કે, ભારતીય સેનાના હવાઈ હુમલામાં મસૂદ અઝહરની બહેન અને તેનો બનેવી સહિત 14 જેહાદીઓ માર્યા ગયા છે.

    ભારતીય અધિકારીઓએ જણાવ્યું છે કે, ભારતીય સશસ્ત્રદળોએ પાકિસ્તાનના પંજાબ અને PoKના આતંકી ઠેકાણાં પર હુમલો કર્યો છે. પંજાબમાં 4 ઠેકાણાં સંપૂર્ણપણે નાબૂદ કરી દેવાયા છે. ત્યાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના મુખ્યાલયો પણ હતા. આ સાથે જ PoKમાં પણ 5 આતંકી ઠેકાણાં તબાહ થઈ ગયા છે.

    આ હુમલામાં આતંકી મસૂદ અઝહરના આખા પરિવારને ખતમ કરી દેવાયો છે. માહિતી અનુસાર, પરિવારને ખતમ થતાં જોઈને આતંકી મસૂદ અઝહરે કહ્યું હતું કે, બહાવલપુરમાં સુભાન અલ્લાહ મસ્જિદ પર થયેલા હુમલામાં તેના પરિવારના 10 લોકો માર્યા ગયા છે અને ચાર સહયોગીઓ પણ ખતમ થયા છે. મૃતકોમાં તેની બહેન, તેનો બનેવી, અઝહરનો ભત્રીજો અને તેની બેગમ, ભત્રીજી અને તેના પરિવારના પાંચ સભ્યો સામેલ છે.