Wednesday, May 14, 2025
More

    નહીં ઉડાવી શકાય ડ્રોન, નહીં કરી શકાય આતશબાજી: ગૃહ રાજ્ય મંત્રી પોસ્ટ કરીને માહિતી આપી, કહ્યું- 15 મે સુધી રાજ્યભરમાં લાગુ રહેશે આ પ્રતિબંધ

    હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાયેલી છે. પહલગામ આતંકી હુમલાનો બદલો લેવા ભારતે પાકિસ્તાનમાં આવેલા આતંકી ઠેકાણાઓ પર ડ્રોન સ્ટ્રાઇક્સ કરી હતી, જે બાદ આતંકી દેશ ભારતના સામાન્ય નાગરિક વિસ્તારો પર મિશાઈલો છોડી હતી. પરંતુ ભારતની મજબૂત રક્ષા પ્રણાલી તે તમામને નાકામ બનાવ્યા હતા.

    એકદમ તાજી જાણકારી મુજબ હવે દેશભરમાં અને ખાસ કરીને સીમાવર્તી રાજ્યોમાં સુરક્ષાને લઈને ઘણા નિયમો બહાર પાડવામાં આવી રહ્યા છે. આ જ શ્રેણીમાં હવે ગુજરાતમાં પણ કોઈપણ બહાને ડ્રોન ઉડાવવા કે આતશબાજી (Drone, firecrackers prohibited) કરવા પર પ્રતિબંધ લાદી દીધો છે.

    આ બાબતે જાણકારી આપતા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોસ્ટ કરીને લખ્યું હતું કે, “આ મહિનાની 15મી તારીખ સુધી કોઈપણ કાર્યક્રમ કે આયોજનમાં ફટાકડા કે ડ્રોનને મંજૂરી આપવામાં આવશે નહીં. કૃપા કરીને સહકાર આપો અને માર્ગદર્શિકાનું પાલન કરો.”

    નોંધનીય છે આ દિશાનિર્દેશ હાલની પરિસ્થિતિને અનુરૂપ રહીને બહાર પાડવામાં આવ્યા છે. હાલ તેના માટે 15 મે સુધીનો સમય નિશ્ચિત કરાયો છે. શકયતા છે કે જો જરૂર પડી તો આ સમયગાળો લંબાવાઈ શકે છે.