ભાવનગરને અમદાવાદ સાથે જોડતો 109 કિલોમીટર લાંબો ધોલેરા-અમદાવાદ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે લગભગ પૂર્ણ થઈ ગયો છે. ભારત માલા યોજનાનો આ મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. ₹4928 કરોડના ખર્ચે બનેલા આ એક્સપ્રેસ-વેનું કામ જૂન-જુલાઈમાં પૂર્ણ થઈ જશે અને ત્યારબાદ તેને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. આ પ્રોજેક્ટથી અમદાવાદ-ધોલેરા અને ભાવનગરને ડાયરેક્ટ કનેક્ટિવિટી મળશે.
આ એક્સપ્રેસ-વેના નિર્માણ માટે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સમગ્ર 4 લેનનો એક્સપ્રેસ-વે ફ્લેક્સિબલ ડામર રોડ છે. જેમાં ઇનોવેટિવ મટિરિયલનો ઉપયોગ કરાયો છે. તેમાં અમદાવાદના પીરાણા ડમ્પિંગ યાર્ડમાંથી નીકળેલા 35 લાખ ઘન મીટર વેસનો ઉપયોગ કરાયો છે. જેને અમદાવાદથી શરૂ કરતા 48 કિલોમીટરના રોડની નીચેના લેયર માટે પાથરવામાં આવ્યો છે.
એક્સપ્રેસ-વેની બંને બાજુ ગ્રીન બેલ્ટ વિકસાવવામાં આવશે. જેમાં 97.19 હેક્ટરમાં 97,195 વૃક્ષ વાવવામાં આવશે. વન્ય જીવોની સલામતી ક્રોસિંગનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ એક્સપ્રેસ-વે પરથી દરરોજ લગભગ 25,000 વાહન માટે તૈયાર કરાયો છે. ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાને રાખીને તેને 4 લેનથી વધારીને 12 લેન કરવાની જોગવાઈ પણ છે.