Thursday, April 10, 2025
More

    ‘કોઈનાથી ડરવાની જરૂર નથી… નક્કી કરી દો સમય અને તારીખ… લોકો ત્યાં પહોંચી જશે’: ઔરંગઝેબની કબર ઉખાડી ફેંકવા મામલે ભાજપ નેતા ટી. રાજાનું નિવેદન

    દેશમાં મુઘલ આક્રાંતા ઔરંગઝેબની કબરને (Aurangzeb Tomb) લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે. ઘણા દિવસોથી ઔરંગઝેબની કબર હટાવવાની માંગ થઈ રહી છે. ત્યારે હવે ભાજપ તેલંગાણાના ધારાસભ્ય ટી. રાજા સિંઘે (T Raja Singh) પણ મહત્વપૂર્ણ નિવેદન આપી દીધું છે.

    ટી. રાજા સિંઘ પુણેમાં એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે એક નિવેદન આપ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે, “કોઈનાથી ડરવાની જરૂર નથી.” તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને અપીલ કરી અને કહ્યું કે, “ઔરંગઝેબની કબર ખોદવા માટે એક દિવસ અને તારીખ નક્કી કરવામાં આવે અને તેની જાણ કરવામાં આવે… લોકો ત્યાં પહોંચી જશે.”

    નોંધનીય છે કે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળના કાર્યકર્તાઓએ સંભાજીનગરમાં ઔરંગઝેબની કબર ઉખાડી ફેંકવા માટે આંદોલનની પણ જાહેરાત કરી હતી. જે 17 માર્ચથી શરૂ થવાનું છે. જેમાં તેઓ દરેક કાર્યાલયમાં આવેદન આપીને સરકાર સાથે વાતચીત કરવાના છે.

    VHP કાર્યકર્તાએ જણાવ્યું હતું કે “વાતચીત બાદ પણ સરકાર તરફથી કોઈ પગલા નહીં લેવામાં આવે તો લાખો હિંદુઓ અને બજરંગ દળ-વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓ સંભાજી નગર તરફ કૂચ કરશે અને કારસેવા કરીને ઔરંગઝેબની કબર ઉખાડી ફેંકશે”