Friday, February 21, 2025
More

    દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને મંત્રીઓના અંગત સ્ટાફની સેવાઓ સમાપ્ત, સેવા વિભાગનો મોટો આદેશ: સત્તા સંભાળતા જ CM રેખા ગુપ્તાએ પડાવી બૂમ

    દિલ્હીમાં ભાજપ સત્તામાં આવતાની સાથે જ, પાછલી AAP સરકારના કાર્યકાળ દરમિયાન નિયુક્ત કરાયેલા ‘કો-ટર્મિનસ સ્ટાફ’ની (અંગત સ્ટાફ) નિમણૂકો રદ કરવામાં આવી છે. દિલ્હી સરકારના (Delhi Government) સેવા વિભાગે એક આદેશ જારી કરીને આ અંગે માહિતી આપી છે.

    20 ફેબ્રુઆરીના રોજ, ભારતના રાષ્ટ્રપતિએ દિલ્હીના મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓની નિમણૂક કરતું ગેઝેટ જાહેરનામું બહાર પાડ્યું હતું. નવી ચૂંટાયેલી સરકારની રચના માટે તમામ શ્રેણીઓના કર્મચારીઓની નવી નિમણૂકો જરૂરી છે. આ જ કારણ છે કે જ્યારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને મંત્રીઓ રાજીનામું આપે છે, ત્યારે તેમના અંગત સ્ટાફની (સહ-ટર્મિનસ સ્ટાફ) નિમણૂકો રદ કરવામાં આવે છે.

    આ મામલે એક આદેશ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં લખ્યું છે કે, “મુખ્યમંત્રી અને મંત્રીઓના કાર્યાલયોમાં ‘વિવિધ વિભાગો, સંગઠનો, નિગમો, બોર્ડ, હોસ્પિટલો વગેરેના તમામ અધિકારીઓ, અને કર્મચારીઓ કે જેઓ ‘વિવિધ સ્તરે તૈનાત’ છે તેમને તાત્કાલિક અસરથી ફરજોમાંથી મુક્ત ગણવામાં આવશે અને તેમણે તાત્કાલિક અસરથી તેમના સંબંધિત વિભાગો, બોર્ડ, સ્વાયત્ત સંસ્થાઓ, નિગમો, હોસ્પિટલો વગેરેને રિપોર્ટ કરવાનો રહેશે.”

    આદેશમાં આગળ લખવામાં આવ્યું છે કે, “મુખ્યમંત્રી અને મંત્રીઓના કાર્યાલયો GADને નવી દરખાસ્તો સબમિટ કરશે… જોકે, DANICS, DSS અને સ્ટેનો કેડરના કર્મચારીઓ નવા મુખ્યમંત્રી, મંત્રીઓ હેઠળ તેમના સંબંધિત કાર્યાલયોમાં આગામી આદેશો સુધી કામ કરવાનું ચાલુ રાખશે.”

    એટલે કે પૂર્વ સરકારે જે અધિકારીઓ અને કર્મચારીઓની તેમના મૂળ વિભાગમાંથી બીજા વિભાગોમાં નિયુક્તિ કરી હતી તેમને તાત્કાલિક પ્રભાવથી તેમના મૂળ વિભાગમાં રિપોર્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. નોંધનીય છે કે દિલ્હીના મુખ્ય સચિવે તાજેતરમાં જ તમામ વિભાગોમાં પાછલી સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા બિન-સત્તાવાર કર્મચારીઓની યાદી તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો.