Sunday, July 13, 2025
More

    નિઃશુલ્ક વીજળી, આર્થિક સહાય અને સાત્વિક ભોજન: કાવડ યાત્રા માટે દિલ્હીની ભાજપ સરકારનો મહત્વનો નિર્ણય, CM રેખા ગુપ્તાએ કહ્યું- શિવભક્તોની સાધનામાં નહીં આવે અડચણ

    થોડા દિવસોમાં હવે શ્રાવણના પવિત્ર મહિનાની શરૂઆત થવાની છે. શ્રાવણના પાવન માસમાં હિંદુ શ્રદ્ધાળુઓ વિશેષ પૂજા, ભક્તિ અને તપ આદિ કરે છે. કાવડ યાત્રા (Kanwar Yatra) પણ ભગવાન શિવને સમર્પિત એક વિશેષ પૂજા-અનુષ્ઠાન છે. ત્યારે આ વખતે દિલ્લીની (Delhi) નવી બનેલી ભાજપ સરકાર દ્વારા કાવડયાત્રીઓની સુવિધા માટે ખુબ મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. દિલ્લી સરકાર દ્વારા આ વખતે કાવડ યાત્રીઓની સુવિધા માટે કામ કરતી સહકારી સમિતિઓને આર્થિક મદદ આપવામાં આવશે.

    આ અંગે વિગતે માહિતી આપતા દિલ્લીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ (Rekha Gupta) તેમના ઓફિશિયલ X એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી લખ્યું કે, “આજે કેબિનેટ બેઠકમાં આગામી કાવડ યાત્રાને ભવ્ય, દિવ્ય અને પારદર્શી બનાવવા માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે આ પવિત્ર યાત્રામાં દેવતુલ્ય શિવભકતોની સેવા કરતી સહકારી સમિતિઓને આર્થિક મદદ સીધી DBTના માધ્યમથી આપવામાં આવશે. જયારે બધી પરવાનગીઓ સિંગલ વિન્ડો સીસ્ટમથી 72 કલાકોની અંદર આપી દેવામાં આવશે. અમારું લક્ષ્ય છે કે શિવ આરાધના અને શિવભક્તોની તપસ્યા-સાધનામાં કોઈ પણ સમસ્યા ન આવે. “

    વધુમાં તેમણે કહ્યું કે, “આ ઉપરાંત 1200 યુનિટ સુધી મફત વીજળી, શ્રેષ્ઠ ભોજન વ્યવસ્થા, સ્વચ્છતા અને સુચારુ ટ્રાફીક મેનેજમેન્ટ, આ બધી વ્યવસ્થાઓ દિલ્લી સરકાર સંપૂર્ણ સજાગતા અને શ્રદ્ધા સાથે સુનિશ્ચિત કરશે. આ પહેલાંની સરકારોમાં કાવડ યાત્રા પણ ભ્રષ્ટાચાર અને અવ્યવસ્થાનો ભોગ બની હતી. એ જ યાત્રા હવે સેવા, સુશાસન અને શ્રદ્ધાનું પ્રતિક બની છે. દિલ્લી માટે ‘કાવડ યાત્રા- 2025’ શિવભકતોની આસ્થા, શ્રદ્ધા અને તપસ્યાનો અનોખો ઉત્સવ બની રહેશે.”