Friday, May 16, 2025
More

    ‘તમે મોદીને જાણો છો, દેશ જેવું ઇચ્છે છે એવું થઈને જ રહેશે’: રાજનાથ સિંઘ, કહ્યું– દેશની સુરક્ષાની જવાબદારી મારી, આંખ ઉઠાવનારાઓને જડબાતોડ જવાબ અપાશે

    રક્ષામંત્રી રાજનાથ સિંઘે તાજેતરમાં દિલ્હીમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે અગત્યનું નિવેદન આપ્યું, જેની તરફ દેશનું ધ્યાન ખેંચાયું છે. આતંકવાદી હુમલા અને રાષ્ટ્રીય સુરક્ષાની વાત કરતી વખતે તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં દેશ જેવું ઇચ્છશે તેવું જ થશે. 

    રક્ષામંત્રીએ કહ્યું, “તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બહુ સારી રીતે જાણો છો. તેમની કાર્યશૈલીથી પણ પરિચિત છો. તેમની દ્રઢતાથી પણ પરિચિત છો. જોખમ ઉઠાવવાનું તેઓ જીવનમાં કઈ રીતે શીખ્યા છે તે પણ તમે બહુ સારી રીતે જાણો છો.”

    તેમણે ઉમેર્યું, “હું તમને આશ્વસ્ત કરવા માગું છું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં જેવું તમે ઇચ્છી રહ્યા છો, તેવું થઈને રહેશે.”

    તેમણે કહ્યું, “રક્ષામંત્રી તરીકે મારું દાયિત્વ છે કે હું સેનાઓ સાથે મળીને દેશની સુરક્ષા સુનિશ્ચિત કરું. મારી જવાબદારી છે કે સેના સાથે મળીને દેશ સામે આંખ ઉઠાવનારાઓને જડબાતોડ જવાબ આપું.”