Wednesday, June 25, 2025
More

    ‘PoKના લોકો આપણા પરિવારનો ભાગ, આજે નહીં તો કાલે ચોક્કસ ફરશે પરત’: રક્ષા મંત્રી રાજનાથ સિંઘનું નિવેદન, ઑપરેશન સિંદૂર અંગે કહ્યું- સંયમ અને શક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ કર્યું પ્રદર્શિત

    પહલગામ હુમલાના પ્રતિશોધ સ્વરૂપ ઑપરેશન સિંદૂર (Operation Sindoor) બાદ દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંઘનું (Rajnath Singh) નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે PoKના લોકો તથા ઑપરેશન સિંદૂર અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, “કરવામાં તો અમે ઘણું બધું કરી શકતા હતા, પરંતુ અમે સંયમ રાખ્યો.”

    તેમણે કહ્યું કે, “શક્તિની સાથે સંયમ હોવો પણ આવશ્યક છે. શક્તિ અને સંયમના સમન્વયનું શ્રેષ્ઠ ઉદાહરણ અમે દુનિયા સમક્ષ મુક્યું છે… તમને જાણીને આનંદ થશે કે સંરક્ષણ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવા માટે 2 દિવસ પહેલાં જ પાંચમી પેઢીના એરક્રાફ્ટ ભારતમાં બનાવવા માટેના AMCA પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.”

    આ ઉપરાંત તેમણે PoK અંગે પણ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “મારું માનવું છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના લોકો આપણા પોતાના છે, આપણા પરિવારનો ભાગ છે. અમે PM નરેન્દ્ર મોદીના એક ભારત, શ્રેષ્ઠ ભારતના સંકલ્પ માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છીએ.”

    તેમણે કહ્યું કે, “અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમારા જે ભાઈઓ આજે ભૌગોલિક અને રાજકીય રીતે આપણાથી અલગ છે, તેઓ પણ આજે નહીં તો કાલે પોતાના સ્વાભિમાન, આત્માની અવાજ અને સ્વેચ્છાએ ભારતના મુખ્ય પ્રવાહમાં પાછા ફરશે. ત્યાંના મોટાભાગના લોકો ભારત સાથે જોડાણ અનુભવે છે, કેટલાક લોકો જ એવા છે જે ગેરમાર્ગે દોરાયેલા છે.”

    તેમણે કહ્યું હતું કે, “PoKમાં રહેનારા આપણા ભાઈઓની સ્થિતિ એવી જ છે જેવી વીર યોદ્ધા મહારાણા પ્રતાપના નાના ભાઈ શક્તિસિંહની હતી. નાના ભાઈ શક્તિસિંહ અલગ થઈ ગયા છતાં મોટાભાઈ મહારાણા પ્રતાપનો વિશ્વાસ તેમની પર યથાવત રહે છે.”

    તેમણે મહારાણા પ્રતાપનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “તેઓ ઘણા વિશ્વાસ સાથે કહે છે કે, ‘તબ કુપથ કો છોડ, સુપથ પર સ્વયં ચલા આયેગા, મેરા હી ભાઈ હૈ મુજસે દૂર કહાં જાએગા’. અમને વિશ્વાસ છે કે એ દિવસ દૂર નથી કે પ્રેમ, એકતા અને સત્યના માર્ગ પર ચાલીને આપણો જ અંગ POK સ્વયં પરત ફરીને કહેશે કે હું ભારત છું, હું પાછો આવ્યો છું.”