Monday, May 19, 2025
More

    પાકિસ્તાની મહિલા સાથે નિકાહ કરનાર CRPF જવાન મુનીર અહેમદ બરખાસ્ત, રાષ્ટ્રીય સુરક્ષાને જોતાં નિર્ણય

    સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ દ્વારા જવાન મુનીર અહેમદને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. કારણ એ છે કે તેમણે એક પાકિસ્તાની મહિલા સાથે લગ્ન કર્યાં હતાં અને તેને વિઝાની મુદત પૂર્ણ થઈ ગયા બાદ પણ ભારતમાં રાખી હતી. એટલું જ નહીં આ બાબત સીઆરપીએફથી છાની રાખવાનો પણ આરોપ છે. 

    રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડાં કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. અહેમદ CRPFની 41મી બટાલિયનમાં ફરજ બજાવતા હતા અને ઔપચારિક તપાસ વગર બરતરફ કરવાની સત્તા આપતી જોગવાઈની મદદથી CRPF દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. 

    આ સમગ્ર મામલો 22 એપ્રિલના પહલગામ આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાનીઓ માટે વિઝા પર પ્રતિબંધ મૂક્યા બાદ સામે આવ્યો હતો. દેશભરમાંથી પાકિસ્તાની નાગરિકોને ડિપોર્ટ કરવાનું શરૂ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે CRPF જવાન મુનીર અહેમદની પત્ની પણ પાકિસ્તાની છે. 

    રિપોર્ટ્સ અનુસાર, બંનેએ મે 2023માં વિડીયો કૉલ પર નિકાહ કર્યાં હતાં. પરંતુ અહમદે ઑક્ટોબર 2024 સુધી ફોર્સને જાણ કરી ન હતી. આંતરિક તપાસમાં સામે આવ્યું કે ઉપરી અધિકારીઓને કોઈ ઔપચારિક જાણ કરવામાં આવી ન હતી કે વિઝા ન હોવા છતાં પત્ની રોકાઈ હોવાનું પણ જણાવવામાં આવ્યું ન હતું.