Monday, May 19, 2025
More

    ચંડોળા ડિમોલેશનને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ કમિશ્નર ઓફીસમાં કરી બેઠક: આગામી કાર્યવાહીની ચર્ચા કરી હોવાના અહેવાલ

    અમદાવાદના ચંડોળા તળાવ (Chandola Lake) ખાતે ઘૂસણખોરોએ ઉભા કરેલા ગેરકાયદેસર બાંધકામો અને ઝૂંપડપટ્ટીઓને તોડી પાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક મોટું ડિમોલેશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ મુદ્દે ચર્ચા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel), ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ અમદાવાદના કમિશનર ઓફ પોલીસ (CP) ઓફિસ ખાતે બેઠક યોજી હતી.

    આ ઓપરેશનને ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન ગણાવવામાં આવી રહ્યું છે. આ ઓપરેશનમાં 80 જેટલા JCB (ખોદકામ મશીનો) અને 60 ડમ્પર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઓપરેશન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે લગભગ 2,000 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.

    આ ઓપરેશનની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ CP ઓફિસની મુલાકાત લીધી હતી. આ બેઠકમાં ચંડોળા તળાવ ખાતે ચાલી રહેલા ડિમોલેશન  ઓપરેશન અને તેની આગળની રણનીતિ અંગે ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે.

    આ ઓપરેશનને ગૃહ વિભાગ, કમિશનર ઓફ પોલીસ અને ડિરેક્ટર જનરલ ઓફ પોલીસના સીધા આદેશો હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. બેઠકમાં આગળના પગલાં અને ગેરકાયદેસર ઘૂસણખોરો સામે કડક કાર્યવાહીની યોજના ઘડવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે. આ સિવાય એમ પણ કહેવાઈ રહ્યું છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ચંડોળા ખાતે મુલાકાત લઈ શકે છે.