ચંડોળા તળાવમાં કુખ્યાત નામ ધરાવતા મહેમૂદ ખાન પઠાણની (લલ્લા બિહારી) તાજેતરમાં જ ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ હવે જાણવા મળી રહ્યું છે કે, કોર્ટે તેના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
6 દિવસ સુધી પોલીસ તેની પૂછપરછ કરશે અને વિવિધ દિશામાં તપાસ પણ હાથ ધરશે. નોંધનીય છે કે, ચંડોળામાં ડિમોલિશન કાર્યવાહી હાથ ધરાયા બાદ આરોપી મહેમૂદખાન પઠાણની (લલ્લા બિહારી) ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદ પોલીસે રાજસ્થાનથી તેને ઝડપી પાડ્યો હતો. તે પહેલાં તેના પુત્ર ફતેહની પણ ધરપકડ કરવામાં આવી હતી.
ચંડોળા ડિમોલિશન દરમિયાન તેણે 2000 વારમાં ઊભા કરેલા આલીશાન ફાર્મ હાઉસને પણ જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું હતું. બિહારીને બાંગ્લાદેશી ઘૂસણખોરોનો ‘મસીહા’ પણ ગણવામાં આવતો હતો. તેનું ફાર્મ હાઉસ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું હતું. હાલ પોલીસ તેની પૂછપરછ કરી રહી હોવાનું સામે આવ્યું છે.